સિહોર તાલુકાના વાવડી (ગજા)થી પીપરાળી સુધીનો અડધો માર્ગ રિપેરીંગ કર્યા બાદ બાકીનો માર્ગ બાકી છોડી દેવાતા બાકી રહેલા બિસ્માર માર્ગને સત્વરે રિ-કાર્પેટ કરવા લોકમાંગ ઊઠવા પામી છે.વાવડી (ગજા)એ સિહોર તાલુકાનું અને પીપરાળીએ ઉમરાળા તાલુકાનું ગામ છે. આ બંને ગામને જોડતો 4 કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી સાવ બિસ્માર બની ગયો છે. થોડા સમય પહેલાં પીપરાળીથી વાવડી (ગજા) તરફ આવતા ઉમરાળા તાલુકાની હદ સુધીના માર્ગનું રિપેરીંગ કામ ધરાયું હતું. સણોસરા પંથકના દડવા જતા ભાવિકોનો અને ટીંબી જતાં દર્દીઓનો અને ઉમરાળા તરફ જવાનો શોર્ટ રૂટ છે.
આ રસ્તો સાવ તૂટી ગયો છે. રસ્તા પર પથ્થરો બહાર ધસી આવ્યા છે, જેને કારણે વાહનોના ટાયર ફાટી જવાની ઘટનાઓ ઘટે છે. આ રસ્તા પરથી પસાર થવામાં વાહનચાલકોને નાકે દમ આવી જાય છે.આ રસ્તાને વહેલામાં વહેલી રિ-કાર્પેટ કરવામાં આવે તે અત્યંત જરૂરી બની ગયું છે. જો આ રસ્તાને રિ-કાર્પેટ કરવા માટે તંત્ર કોઇ ઠોસ કદમ નહીં ઉઠાવે તો આ વિસ્તારના રહીશો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.