શહેરમાં આજે H3N2 સિઝનલ ફ્લુના બે કેસ નોંધાયા છે. આજ સુધીમાં ભાવનગર શહેરમાં સિઝનલ ફ્લુ એટલે કે ઇન્ફ્લુએન્જાના 6 કેસ નોંધાયા છે અને હાલમાં શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 3 છે. જ્યારે આજે શહેરના ડોન ચોક વિસ્તારમાં 55 વર્ષીય પુરૂષને કોરોનાના લક્ષણો દેખાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓને કોરોના પોઝિટવ જાહેર કરવામાં આવ્યાં હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,900 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 21,691 દર્દીઓ સાજા થઇ ગયા છે અને હાલમાં શહેરમાં કોરોનાના 11 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
H3N2માં 15થી 21 દિવસ સુધી રહે છે રોગના લક્ષણો
દેશમાં H3N2 ઇન્ફ્લુએન્ઝાના કેસો વધતા જ જાય છે. આની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. ત્યારે ભાવનગરમાં પણ હવે એક કેસ નોંધાયો છે. આ એક સિઝનલ ફ્લુ છે જે ઝડપથી ફેલાતો હોય છે. પરંતુ કોરોના કાળ પછી દરેક વ્યક્તિને અનુભવ થયો છે તે મુજબ લોકોએ કોવિડ અનુરુપ વ્યવહારનું પાલન કરવું જરૂરી છે. એક નાનકડી બુંદથી પણ સંક્રમણ શક્ય છે. માટે માસ્કનો ઉપયોગ આવશ્યક છે. આનો ફેલાવો ઉધરસથી થાય છે. હાથ ધોતા રહેવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે તેમ એમ.ડી. ડો.રાજીવભાઇ ઓઝાએ જણાવ્યું છે. રોગમાં 15થી 21 દિવસ દરમિયાન રોગના ચિહ્નો રહે છે.
H3N2 ઇન્ફ્લુએન્ઝાનો રોગ દર્દી તથા કુટુંબીજનોમાં ફેલાવો થવાથી, કાર્યક્ષમતામાં ઘટાડો, સમય માંદગીમાં પસાર થવો, નબળાઇ આવવી અને આવા કારણોસર અર્થ ઉપાર્જન તથા પ્રોડક્ટિવીટી પર અસર થાય છે અને વયોવૃદ્ધ તથા અન્ય બિમારીથી પિડાતા વયસ્કોને વધુ અસર કરે છે. H3N2 ઇન્ફ્લુએન્ઝામાં મૃત્યુનો દર ખુબ જ ઓછો છે. માટે ડરવાનો કોઇ પ્રશ્ન નથી. પણ તેનાથી સાવધાની રાખવી ઘણી જ જરૂરી છે.
આ રોગમાં લાંબા સમય સુધી ઉધરસ આવવી, તાવ અને શરદી, કફ, ગળામાં દુ:ખવું, ઝાડા ઉલટી થવા જેવા ચિહ્નો દેખાતા હોય છે. આ રોગમાં એન્ટીબાયોટિક્સનો બહુ કોઇ રોલ નથી. સંપૂર્ણ આરામ તથા પુરતું પોષણ તથા પાણી પીવાને ખાસ મહત્વ આપવામાં આવે છે. H3N2 ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન ઘણા વર્ષોથી ઉપલબ્ધ છે અને અકસીર પણ છે. તો ખાસ કરીને ડાયાબિટીક, હ્રદયરોય, કેન્સર, કેમોથેરાપીના દર્દી અને વયસ્કોએ આ વેક્સિન લેવી અસરકારક અને ઉપયોગી નિવડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.