મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે મંગળવારે મોડી સાંજે ભાવનગર શહેર 299 વર્ષ પૂરાં કરીને તેની 300મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે તેની જન્મજ્યંતિની ઉજવણીમાં સહભાગી થયાં હતાં. ભાવનગરની જન્મજ્યંતિના ત્રિદીવસીય ઉત્સવના બીજા દિવસે બોર તળાવને કાંઠે જળહળાં રોશનીથી રોશન ભાવાવરણમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કલા, સંસ્કૃતિ, સાહિત્યની નગરી વિકાસ નગરી બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ ભાવનગર શહેરના 300મા વર્ષના પ્રવેશની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ભાવનગર તેના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ દ્વારા રિસાયકલિંગ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. આગામી સમયમાં તે કેન્દ્ર સરકારની રિસાયકલિંગ પોલીસીને પગલે રિસાયકલિંગ ક્ષેત્રે ધમધમતું થવાનું છે.
મુખ્યમંત્રી 300 કિલોની લાડવાની પ્રસાદી સાથેના માઁ ખોડીયારની આરતીમાં પણ જોડાયા હતા. આ લાડુ માઁ ખોડીયારની પ્રસાદી તરીકે ભાવનગરના કૂપોષિત બાળકો વચ્ચે વહેંચવામાં આવશે. તે રીતે રાજ્ય સરકારના કૂપોષણ અભિયાનમાં એક રીતે બળ મળશે. આ અવસરે 'પ્રેમ યોગ' પુસ્તકના લેખક રણધીરસિંહ ઝાલા દ્રારા પુસ્તકની પ્રથમ 2 હજાર નકલની આવકને મુખ્યમંત્રીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોના અભ્યાસ માટે અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થાઓ તથા વ્યક્તિ વિશેષોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમને પણ માણ્યો હતો.
ભાવનગરે અનેક કલાવિદો, શિક્ષણવિદો તથા નાટ્યકારો આપ્યા
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર તેના ભવ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો માટે વિખ્યાત છે. અનેક કલાવિદો, શિક્ષણવિદો તથા નાટ્યકારો ભાવનગરે આપ્યા છે, ત્યારે આ નગર તેનો વારસો-વૈભવ ટકાવીને આગળ વધે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને શહેર અને ગામના જન્મદિવસને જન ભાગીદારીથી ઉજવવા કરેલા આહ્વાનને પગલે ભાવનગર શહેરના ૩૦૦મા વર્ષમાં પ્રવેશની ઉજવણી થઈ રહી છે તેનો આનંદ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાવનગરના રાજવીઓ શહેરના ઉધ્વગામી વિકાસ માટે તે જમાનામાં વિશ્વવિખ્યાત ઈજનેર વિશ્વસરૈયા પાસે ડિઝાઇન તૈયાર કરાવીને બોર તળાવ બનાવડાવ્યું હતું, તે આજે પણ ભાવનગરની શાન બની રહ્યું છે.
મહાત્મા ગાંધીજીએ જેમાં અભ્યાસ કર્યો હતો તેવી શામળદાસ કોલેજ તથા બાર્ટન લાયબ્રેરી આ શહેરની શોભા છે તેમ જણાવી તે જમીનમાં રાજાએ શહેરની વચ્ચે વિક્ટોરિયા ગાર્ડનના નિર્માણ દ્વારા પર્યાવરણની રક્ષાનું પણ કાર્ય કર્યું છે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર રાજ્ય સરકારની નીતિઓને કારણે મીઠા અને હીરા ઉદ્યોગ ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે. આ ક્ષેત્રે મીઠા સંશોધનની અગ્રીમ એવી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ શહેરમાં છે.
શહેરનું તોરણ બંધાયું ત્યારથી આ શહેર વિકસતું, ફુલતું-ફાલતું રહ્યું - મુખ્યમંત્રી
1723ના વર્ષમાં આ શહેરનું તોરણ બંધાયું ત્યારથી આ શહેર વિકસતું, ફુલતું-ફાલતુ રહ્યું છે તેમ જણાવી આ શહેરના વિકાસ માટે તે જમાનામાં રાજાઓમાં પ્રજા કલ્યાણની ભાવના રહેલી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ શહેરના પ્રફુલ દવે, પાર્થિવ ગોહિલ, રવિશંકર રાવળ, વિનોદ જોશી, ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળીથી માંડીને ચેતન સાકરિયા સુધીના ભાવનગરના રત્નોને આ અવસરે યાદ કર્યા હતાં.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરના જન્મોત્સવની ઉજવણીની સફળતા જોઈને સમગ્ર વર્ષ દરમિયાન તેની ઉજવણી વિવિધ વિષયો અને થીમ સાથે કરવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભાવનગર શહેરના જન્મોત્સવની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ વિષયો સાથે કરવામાં આવશે. રાજ્ય સરકારે પણ બોર તળાવના વિકાસ માટે રૂ. 12 કરોડ ફાળવ્યા
તેમણે જણાવ્યું હતું કે, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝન સાથે કાર્ય કરે છે. તેવા વિઝન સાથે તે જમાનાના રાજાઓએ ભાવનગરની તૃષા છીપાવવા બોર તળાવ બનાવ્યું હતું. રાજ્ય સરકારે પણ બોર તળાવના વિકાસ માટે રૂ. 12 કરોડ ફાળવ્યા છે. તેમણે કહ્યું હતું કે હૃદયના ભાવથી ઉજવણી થતી હોય ત્યારે તે સફળ થતી હોય છે. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ એક જ ઝટકે પોતાનું રજવાડું દેશ માટે સમર્પિત કરી દીધું હતું.
રૂ. 2400 કરોડના ખંભાત રોડને મુખ્યમંત્રીએ મંજૂરી આપી - જીતુ વાઘાણી
મુખ્યમંત્રીની સરળતા છે કે ભાવેણાના જન્મદિવસે સહજ ભાવે ઉપસ્થિત રહ્યાં છે. આ ઉજવણી નહીં પરંતુ પોતાનાપણાના ભાવ સાથે જોડાવાનો અવસર છે તેમ વધુમાં તેમણે જણાવ્યું હતું. રૂ. 296 કરોડના રીંગરોડની મંજૂરી આપીને મુખ્યમંત્રીએ નવા ભાવનગરની સંકલ્પના સાકાર કરાવાનો માર્ગ ખોલી આપ્યો છે. સૌરાષ્ટ્રને જોડતાં રૂ. 2400 કરોડના ખંભાત રોડને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. તેનાથી ભાવનગરનો વિકાસ વધુ ઝડપથી થશે. આ પ્રસંગે મેયર કીર્તિબાળા દાણીધારીયાએ આવનાર વર્ષો સારા રહે, ભાવનગર સ્વચ્છ બની રહે તે માટે સહયોગ આપવા ભાવનગરવાસીઓને અનુરોધ કરી શહેરના જન્મોત્સવની શુભકામનાઓ પાઠવી હતી.
ભાવનગરના યુવરાજે પોતાની લાગણી વ્યક્ત કરી
આ પ્રસંગે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે તેમની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ તથા પૂર્વજોનું કથન હતું કે "મારી પ્રજાનું કલ્યાણ થજો" આ ભાવનાને આગળ વધારીને ભાવનગર નૂતન વિકાસના શિખર સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિભાવરીબેન દવે, મહારાણી ડેપ્યુટી મેયર કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, એસપી ડો. રવિન્દ્ર પટેલ, એએસપી સફિન હસન સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.