ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પર છેલ્લા ઘણા વર્ષોથી ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો માટે ક્ષત્રિય સમાજને સતત અન્યાય થતો હોવા સંદર્ભે ગોહિલવાડ રાજપૂત સમાજની ચળવળ લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય મહિલાઓએ પણ મતદાન માટે જાગૃતતા લાવવા અને ક્ષત્રિય સમાજ સાથે ભાજપ દ્વારા થયેલા અન્યાયનો સામાજિક જાગરણ સંમેલનમાં ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
ભાવનગર જિલ્લામાં અઢી લાખની વસ્તી સાથે ચાર વિધાનસભા બેઠકો પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હોવા છતાં સતાધારી પક્ષ ભાજપ દ્વારા ઘણા વર્ષોથી ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થતો હોવાનો સૂર ફેલાયો છે. જે સંદર્ભે ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ઘણા સંમેલનો પણ કર્યા છતા ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજમાંથી ઉમેદવારની પસંદગી નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે. ત્યારે શહેરના ચિત્રા શાંતિનગર ખાતે ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજનું સામાજિક જાગરણ સંમેલન યોજાયું હતું અને તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ એકત્રિત થઈ હતી.
ક્ષત્રિય સમાજ સાથે ભાજપ દ્વારા અન્યાય કરતા ઘરે ઘરે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા અને ભ્ાજપને ક્ષત્રિય સમાજની તાકાત દેખાડવા મહિલાઓએ હૂંકાર કર્યો હતો. ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજનાં પ્રમુખ ભૂમિબા ચુડાસમાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર ર્ક્યા હતા. સામાન્યતઃ ક્ષત્રિય સમાજની મહિલાઓના સંમેલન શિક્ષણ, વિકાસ, સામાજિક જાગૃતિ માટે યોજાતા હોય છે. પરંતુ પહેલીવાર ચૂંટણી સંદર્ભે ક્ષત્રિય મહિલાઓનું સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય મહિલાઓના સંમેલનને કારણે રાજકીય હલચલ મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.