દેશમાં લગભગ દરેક શહેરમાં અમુક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય છે. દેશમાં વધી રહેલા અકસ્માતો નિવારવા અને ટ્રાફિકના નિયમોની ઐસી તૈસી કરનાર વાહનચાલકો પર કાબુ મેળવવા સરકારે કમર કસી છે. જે અંતર્ગત ગુજરાત સહિત સમગ્ર દેશના અનેક શહેરોમાં ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા મુકાઇ રહ્યા છે. આથી સિહોર શહેરના વિવિધ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવાની માંગ ઊઠવા પામી છે.સિહોર શહેર ઔદ્યોગિક દ્રષ્ટિએ સતત હરણફાળ ભરી રહ્યું છે.
સિહોરમાં નવનાથ અને પાંચપીરના બેસણા છે. ત્યારે ગુનેગારો ગુનાઓ આચરી ફરાર થઇ જતા હોવાના બનાવો અનેક વાર બને છે. આવા ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાઓ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા હોય છે.સિહોર અને પંથકના લોકોની સલામતી વધે તેમજ કોઇ પણ ગતિવિધિ પર બાજ નજર રાખી શકાય તે માટે સિહોરના વિવિધ સ્થળોએ કેમેરા લગાડવા આવશ્યક બની ગયા છે. સિહોરમાંથી ભાવનગર –રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. અને આ માર્ગ પરથી પાલિતાણાથી માંડી છેક કચ્છ-ભુજ સુધી જતાં –આવતા બેશુમાર માત્રામાં પસાર થાય છે.
સિહોરમાં ચાર–ચાર જી.આઇ.ડી.સી.ઓ પણ આવેલી છે. ઉપરાંત સિહોર શહેરનું સ્થાનિક ટ્રાફિક છે. આથી સિહોરના સ્ટેટ હાઇ-વે પર સતત વાહનોની ભરમાર રહેતી હોય છે. અને વધતી વસતીના અનુપાતમાં વાહનો પણ એટલાં જ વધવાના. અને વાહનો વધવાની સાથે ટ્રાફિક પણ એટલું જ વધવાનું. આથી પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. અને જો અત્યારથી જ તેનું આગોતરું આયોજન કરવામાં આવે તો ક્રાઇમને લગતી ઘટનાઓ પર કાબુ મેળવી શકાય. આથી તંત્ર આ દિશામાં સત્વરે કોઇ ઠોસ કદમ ઊઠાવે તે અત્યંત આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.