પગાર ધોરણના નિયમો:સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો લાંબા સમયથી ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે
  • સરકારની અનિર્ણાયકતાથી ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવાયા નથી

રાજ્યમાં આવેલી સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો રાજ્યમાં ઉત્તમ ઇજનેરો તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ એઆઈસીટીઇ, નવી દિલ્હી દ્વારા વર્ષ 2019 માં સાતમા પગારપંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2020 માં રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી પરિપત્ર બહાર પાડેલો હતો.

આજ ત્રણ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) અંગેના ધારાધોરણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નથી જેને પરિણામે રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા 12 વર્ષથી એક જ પગાર ધોરણમાં ફરજ બજાવી રહ્યા છે.

તેઓને મળવા પાત્ર ઉચ્ચતર પગાર ધોરણ ( કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત ટેકનિકલ શિક્ષણ વિભાગના નિયામકથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી અનેકવિધ વાર કરવામાં આવી છે.

આ સમયગાળામાં બે મુખ્યમંત્રી બદલાયા, ત્રણ શિક્ષણ મંત્રી બદલાયા, બે અગ્ર સચિવ બદલાયા તેમજ ત્રણ ટેકનિકલ શિક્ષણ નિયામક બદલાયા. દરેક વખતે બદલાવને અંતે ઉચ્ચતર પગાર ધોરણ માટે મંડળના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી, મંત્રીશ્રીઓનો સમય માંગી રૂબરૂ મુલાકાત કરી મુદ્દાસર વિસ્તારપૂર્વક રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં આશરે 300 જેટલા અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ હેઠળના જ ટેકનિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકો આ ઉચ્ચતર પગાર ધોરણથી વંચિત રહેતા નિરાશાની અને હતાશાની લાગણી અનુભવી રહ્યા છે. રાજ્યની સંવેદનશીલ સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે અને રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપતા ઇજનેરી કોલેજના અધ્યાપકોની માંગ સ્વીકારી કેરિયર એડવાન્સમેન સ્કીમ ઝડપથી લાગુ કરે તેવી રાજ્ય સરકારી ઇજનેરી અધિકારી મંડળની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...