ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આગામી તા.1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. ત્યારે ભાવનગરમાં ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના ઉમેદવારને જીતાડવા વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું.
રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા આહવાન
ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સામાજિક જાગરણ સંમેલન દ્વારા ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના ઉમેદવારોને જીતાડવા વિશાળ મહિલા સંમેલન પ્રેસ ક્વોટર ખાતે આવેલા કોમન પ્લોટ ખાતે યોજાયું હતું. આગામી વિધાનસભામાં ભાવનગર જિલ્લામાં કૉંગ્રેસ પક્ષના બે ક્ષત્રિય સમાજના આગેવાનો જેમાં ભાવનગર પશ્ચિમ બેઠક માટે કે.કે.ગોહિલ અને ભાવનગર ગ્રામ્ય બેઠક માટે રેવતસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી છે તેને જીતાડવા ગોહિલવાડ રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આગામી 1 ડિસેમ્બરના રોજ જંગી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
સમાજના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડશે
ગોહિલવાડ રાજપૂત સમાજના આગેવાન એવા વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં કહ્યા પ્રમાણે જે પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવશે તેની સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ ઉભો રહેશે. આ વખતે ફરી એક વખત ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને અન્યાય કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસ પક્ષ દ્વારા જે બે બેઠકો પર ક્ષત્રિય સમાજના ટિકિટ ફાળવવામાં આવી છે તેઓને ક્ષત્રિય સમાજ જંગી બહુમતીથી જીતાડશે તે માટે અમે આહવાન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.