ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા બાદ હવે મૂલ્યાંકન પછી અંતિમ તબક્કાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાવનગરમાં ધો.10 અને ધો.12ની પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે શંકામાં હોય તે વિદ્યાર્થીઓને સુનાવણીની અંતિમ તક આપવામાં આવી રહી છે.
જેમાં ધો.10ના પરીક્ષાર્થીઓ જેઓ સુનાવણીની તારીખમાં ગેરહાજર રહ્યાં હોય તેવા 15 જેટલા પરીક્ષાર્થીને તા.9 મેને સોમવારે સવારે 10 કલાકે એકતા હાઇસ્કૂલ, રામમંત્ર મંદિર,ભાવનગર ખાતે હાજર રહેવા ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે. ધો.12ની આ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને કુલ 5 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યાં હતા.
ડીઇઓ કચેરીના ઇઆઇ વિક્રમસિંહ પરમારે જણાવ્યું હતુ કે ધો.12માં પરીક્ષા દરમિયાન સીસીટીવીના ફૂટેજના આધારે શંકાસ્પદ લાગ્યા હોય તેવા 51 પરીક્ષાર્થીને સુનાવણી માટે રૂબરૂ એકતા હાઇસ્કૂલ ખાતે બોલાવાયા હતા અને તેમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જતા કુલ 5 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતા બાકીનાના કેસને બોર્ડમાં મોકલી દેવામાં આવ્યાં છે.
જ્યાંથી અંતિમ નિર્ણય લેવામાં આવશે. આવી જ રીતે ધો.10માં કુલ 85 પરીક્ષાર્થીને રૂબરૂ સુનાવણી માટે બોલાવાયા હતા અને તેમાં 70 હાજર રહ્યા અને 15 ગેરહાજર રહ્યાં હોય તેઓને અંતિમ તક માટે તા.9 મેને સોમવારે એકતા હાઇસ્કૂલ ખાતે સવારે 10 કલાકે બોલાવાયા છે. જેથી પોતાના પક્ષની રજૂઆત કરી શકે તેમ ઘરશ્યાભાઇ બારૈયાએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.