ભાવનગર જિલ્લો દાડમ, જામફળ, સીતાફળ અને લીંબુ જેવાં બાગાયતી પાકો માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હવે કૃષિ ક્ષેત્રે નવાં પ્રયોગો કરતાં થયાં છે. રાજ્ય સરકારની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ મહોત્સવ દ્વારા પીરસેલું જ્ઞાન હવે તેની સૌરભ ફેલાવી રહ્યું છે.
કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા
આ મરચીનો પાક ભાવનગરના ખેડૂતો માટે દૂધણી ગાય જેવો સાબિત થવાનો છે. કારણ કે તેના રોજરોજના વેચાણથી રોજેરોજના ફદિયા (પૈસા) મળવાના છે. કૃષિના નવાં સંશોધનોને કારણે આજે કૃષિકારોના દિવસો પણ ફર્યા છે. સમૃધ્ધિ તેમના ખેતરના પાળેથી તેમના ઘરની દિવાલો સુધી દસ્તક દેવાં લાગી છે. કોઇ દિવસ આવાં ખેડૂતોના ઘરે જજો. તમને તેનો અહેસાસ થશે. ક્યાં પહેલાંની ચીલાચાલું ખેતી અને ક્યાં આજની આધુનિક સંશોધનોવાળી પ્રગતિશીલ ખેતી. આ ફર્ક તમને ઉડીને આંખે વળગશે.
ખેતીવાડી ક્ષેત્રે થયેલાં નવાં સંશોધનોને તેઓ અપનાવીને ખેતીને સમૃધ્ધ ખેતી તરફ ડગ માંડી
આ બધુ રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે શક્ય બન્યું છે. દિવસે દિવસે અવનવા સંશોધનો અને વિકાસની પ્રક્રિયામાં કૃષિક્ષેત્ર પણ જોડાયેલું જ છે. સણોસરા પંથકમાં વરસાદની વધઘટ સાથે ખાસ આવરણ વ્યવસ્થા (મલ્ચિંગ) સાથેની મરચાની ખેતી કૃષ્ણપરાના ખેડૂતો દ્વારા અપનાવાઈ રહી છે. ખેતી પ્રધાન દેશમાં ખેતી માટે સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકમાં સારું ઉત્પાદન મળે તેમજ પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નો થઇ રહ્યાં છે. જે અભિગમમાં ખેડૂતો પણ જોડાતાં રહ્યાં છે. ખેતીવાડી ક્ષેત્રે થયેલાં નવાં સંશોધનોને તેઓ અપનાવીને ખેતીને સમૃધ્ધ ખેતી તરફ ડગ માંડી રહ્યાં છે.
ઈશ્વરિયાના ખેડૂત અભેશંગભાઈ પરમારએ માહિતી આપી
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા પંથકના ખેડૂતોને લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો સારો લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ત્યાં કાર્યરત થતાં ખેતીની અવનવી પદ્ધતિ અંગે માર્ગદર્શન મળી રહ્યું છે. ખેતીવાડી વિભાગના સિહોર તથા ભાવનગર કચેરીના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા પણ વિવિધ સહાય માર્ગદર્શન મળતાં ખેડૂતોને સારું પીઠબળ મળ્યું છે. જેથી આ વિસ્તારના કૃષ્ણપરા ગામે સુધારેલી ખેતીમાં ખેડૂતો જોડાયાં છે. મલ્ચિંગથી ફુગ ઓછી લાગે છે. ખડ ઓછું થાય છે. આમ છતાં ઉત્પાદન બમણું થાય છે તેમ ઈશ્વરિયાના ખેડૂત અભેશંગભાઈ પરમાર જણાવ્યું હતું.
મલ્ચિંગ ખેતી કરતાં ઓછા પાણી વડે પાક લઈ શકાય છે
કૃષ્ણપરાના ખેડૂત હમીરભાઈ વાઘેલાએ મરચી પાક માટે ખાસ વરસાદ વધઘટ તેમજ મૂળના જરૂરી ભેજ માટે આવરણ સાથેની (મલ્ચિંગ) ખેતી કરતાં ઓછા પાણી વડે પાક લઈ શકાય છે. આ ઉપરાંત ખાતરની જરૂરિયાત ઘટે છે. વાયરસ ઓછો લાગે અને પાણીની પણ ઓછી જરૂરીયાત પડે છે. આ પ્રકારે મરચાની ખેતીથી પાક છોડના મૂળને જિવાંત કે અન્ય કેટલાક રોગ લાગવાથી બચાવી શકાય છે તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.