સલાયામાં ભર ઉનાળે 15 દિવસે પાણી વિતરણથી લોકોમાં દેકારો બોલી ગયો છે. શાળાના બાળકો પણ પાણી સમસ્યાથી પરેશાન થઇ ગયા છે. આ અંગે રજૂઆત કરવા છતાં નગરપાલિકા ઘોર બેદરકારી દાખવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
સલાયામાં ઉનાળાની શરૂઆતથી જ પાણી વિતરણમાં ધાંધિયા શરૂ થયા છે. હાલમાં તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે 13 થી 15 દિવસે પાણી વિતરણથી લોકોમાં દેકારો બોલી ગયો છે. હાલમાં પાણીની ફોર્સ ઓછો આવતો હોય ઉંચાઇવાળા વિસ્તાર બારાડી ગેઇટ, શાકમાર્કેટ ચોક, રામમંદિર શેરી સહિતના વિસ્તારોમાં બિલકુલ ઓછા દબાણથી પાણી આવે છે.
સલાયા નગરપાલિકામાં 28 સભ્યો છે. જેમાં 24 કોંગ્રેસ અને 4 ભાજપના સભ્યો છે. વોર્ડ નં.1 કે જેમાં ભાજપના સભ્યો છે તેમાં પાણી ઓછા દબાણથી મળે છે. પાણી વિતરણનું કોઇ ઠેકાણું નથી. આ વિસ્તારમાં આવેલી 3 શાળાના બાળકો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ બાબતે વોર્ડ નં.1 ના સભ્યોએ ચીફ ઓફીસરને રજૂઆત કરી છે. છતાં કોઇ ઉકેલ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.