ભાવનગર ખાતેથી તમામ હવાઇ સેવાઓ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં બંધ થઇ ગયા બાદ ભાવનગર એરપોર્ટનું ભાવિ ધુંધળુ લાગવા લાગ્યુ હતુ. જાગૃત નાગરિકો, સંસ્થાઓ, રાજકીય આગેવાનોના સહિયારા પુરૂષાર્થ થકી મે મહિનાના પ્રથમ સપ્તાહથી ભાવનગર-મુંબઇ અને ભાવનગર-પૂના વચ્ચે પુન: ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ભાવનગર-મુંબઇ અને ભાવનગર-પૂના માટે પ્રથમ દિવસે કુલ ક્ષમતાના 70 ટકા મુસાફરોએ લાભ લીધો હતો.
ભાવનગરથી મુંબઇની મુસાફરી કરી રહેલા પવનચંદ્ર રાહેજાએ જણાવ્યુ હતુકે, અમારે સપ્તાહમાં બે વખત ભાવનગરથી મુંબઇ જવા-આવવાનું હોય છે, ભાવનગરથી ફ્લાઇટ શરૂ થવાને કારણે હવે સમય અને નાણાની બચત થઇ શકશે. અગાઉ અમારે અમદાવાદથી મુંબઇની ફ્લાઇટ પકડવી પડતી હતી.તેવી જ રીતે ભાવનગરથી પૂના બપોરે 14.45 કલાકે જે ફ્લાઇટ ઉપડે છે તેમાં પુનાથી બેંગલોર, ચેન્નાઇ, હૈદરાબાદ, દિલ્હી, મેંગલોર, ઇન્દોર અને ભૂવનેશ્વરની વન સ્ટોપ કનેક્ટિવિટી મળી રહે છે.
ભારતના આ મુખ્ય શહેરો સુધી હવાઇ માર્ગે જવા માટે ભાવનગરના મુસાફરો અમદાવાદથી ફ્લાઇટ પકડતા હતા અને ભાવનગરથી અમદાવાદ 4 કલાક સમય તથા 4000 રૂપિયા ટેક્સીના ખર્ચ કરવા પડતા હતા, તેના બદલે હવે ભાવનગરથી પૂનાની ફ્લાઇટ ટિકિટ 4000ની અંદર આવી જાય છે અને ત્યારબાદના કનેકશન મેળવી શકાય છે. આમ શરૂ થયેલી આ ફ્લાઈટને લીધે સમય અને નાણાની બચત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.