ભાવનગરમાં આજથી અખિલ ગુજરાત વિદ્યાર્થી પરિષદ (ABVP)ના 54માં અધિવેશનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવર્ચન સમયે ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અને અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીની આભારવિધિ સમયે જીભ લપસી હતી. CM ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવ્યા બાદમાં ભૂલ સ્વીકારી સોરી...સોરી...કહેતા કાર્યક્રમ સ્થળ પર હાસ્ય રેલાયું હતું. ખુદ મુખ્યમંત્રી પણ હસી પડ્યા હતા.
અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીએ આભારવિધિમાં લોચો માર્યો
ભાવનગરમાં આજથી એબીવીપીના 54માં અધિવેશનનો પ્રારંભ થયો છે. ઉદઘાટનની આભારવિધિ દરમિયાન અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રી અને ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અમર આચાર્યની જીભ લપસી હતી. ભુપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી ગણાવ્યા હતા. જો કે, ગણતરીની સેકન્ડમાં જ ભૂલ સમજાતા સોરી...સોરી...કહ્યુ હતું અને મુખ્યમંત્રી સામે જોઈ કહ્યું હતું કે, ભૂલથી બોલાઈ ગયું હો.આ ઘટનાના પગલે થોડી વાર માટે કાર્યક્રમ સ્થળ પર હાસ્ય રેલાઈ ગયુ હતું.
ભાંગરો વાટતાં હોલમાં તાળીઓ અને સીટીઓ વાગી
અમર આચાર્યએ કાર્યક્રમની આભારવિધિ સમયે જ્યારે ભાંગ્યો વાટ્યો ત્યારે ખુદ પણ હસી પડ્યા હતા અને માફી પણ માગી હતી.તો બીજી તરફ આ ઘટનાને લઈ ઉપસ્થિત લોકો તાળીઓ અને સીટી વગાડતા જોવા મળ્યા હતા.
આજથી ત્રિદિવસીય અધિવેશનનો પ્રારંભ થયો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 54માં અધિવેશનમાં ભાવનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તા.6 થી 8 જાન્યુઆરી સુધી ભાવનગરમાં યોજાનારા આ અધિવેશનના ઉદઘાટન સત્રનાં પ્રારંભે મુખ્યમંત્રી ઉદ્દઘાટક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી સહિતના મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી સત્રનો આરંભ કરાવ્યો હતો.
યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા
વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની સુવિધાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે.એ.બી.વી.પી. વિષે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશ અને ગુજરાતના યુવાનો આટલા મક્કમ બનાવવામાં એ.બી.વી.પી.ની ભૂમિકા અતિ મહત્વની છે. આ સંગઠને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી.પી.એ લોકો સુધી પહોંચાડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.