ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ, 9 અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં વર્ગ બઢતીના નિયમો જાહેર કરાયા છે. જે બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓને લાગુ પડશે અને આ નિયમ મુજબ જે શાળાઓમાં કોરોનાની પરિસ્થિતિને કારણે પ્રથમ સત્રમાં 20 ગુણની સામયિક કસોટી લેવાઇ ન હોય અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાને કારણે આ કસોટી આપી શક્યા ન હોય તેવી પણ સંભાવના હોય બોર્ડના વર્ગ બઢતીના નિયમો અનુસાર ધોરણ નવ અને 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં પાંચ ગુણ પ્રથમ સત્રની સામે કસોટીના અને પાંચ ગુણ દ્વિતીય સત્રની સામયિક કસોટીના હોય છે.
તેથી આ વર્ષમાં કોરોનાની પરિસ્થિતિને કારણે જે શાળાઓ દ્વારા આ કસોટી યોજાઇ ના હોય અથવા તો વિદ્યાર્થીઓ કસોટી આપી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓએ બીજા સત્રની સામયિક કસોટી સંબંધિત વિષયમાં મેળવેલા ગુણના આધારે પ્રથમ સત્રની સામયિક કસોટીના ગુણ ગ્રાહ્ય રાખવામાં આવશે અને તે રીતે આંતરિક મૂલ્યાંકન કરવામાં આવશે.
જો કોઈ વિદ્યાર્થીઓએ કોઈ વિષયની પ્રથમ અને દ્વિતીય સત્રની સામયિક કસોટી આપી ન હોય તો તેવા વિદ્યાર્થીઓએ અન્ય વિષયોમાં સામયિક કસોટીના ગુણમાંથી મેળવેલા ગુણની સરેરાશના આધારે જે તે વિષયના સામયિક કસોટીના ગુણ ગ્રાહ્ય રાખીને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણનું ગુણાંકન કરવાનું રહેશે.
આ બાબત ધોરણ 9 અને ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન વર્ગીકરણ માત્ર આ ચાલુ શૈક્ષણિક વર્ષ માટે જ ધ્યાને લેવાની રહેશે. વર્ગ બઢતીના નિયમોની અન્ય બાબતો યથાવત રહેશે તેમ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન.રાજગોરે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.