તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસના ભારતમાં સંક્રમણ વધવાને કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોક ડાઉનના ત્રીજા તબક્કામાં શ્રમિકોને પોતાના વતન તરફ જવાની સરકાર દ્વારા અનુમતિ આપવામાં આવ્યા બાદ ભાવનગર જિલ્લાના હજારોની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી છે. બીજી તરફ શિપબ્રેકિંગ, રી રોલિંગ મિલ, કન્સ્ટ્રક્શન, લુહારી, સુથારી, કલરકામ સહિતના ઉદ્યોગોમાં 20હજાર શ્રમિકોની આવશ્યકતા હોવાથી તમામ લોકોને અહીંયા કામ મળી શકે તેમ છે ઉપરાંત શ્રમિકોની વસ્તી જે વિસ્તારોમાં છે તે વિસ્તારો પણ હજુ સુધી કારોના વાયરસથી સલામત રહ્યા છે, તેથી દર ત્યજી અને ગાડરિયા પ્રવાહમાં ધસી જવાને બદલે ભાવનગર જિલ્લામાં ટકી રહે તો ઉદ્યોગ ધંધા પણ ચાલે અને શ્રમિકોને રોજગારી પણ મળી શકે તેમ છે.
ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યના શ્રમિકો પોતાના ઘર આંગણે ઓછી અથવા નહીંવત્ રોજગારી હોવાને કારણે ગુજરાતમાં રોજી રોટીની આશાએ આવ્યા હતા. ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, રી રોલિંગ મિલ, કન્સ્ટ્રક્શન, લુહારી, સુથારી, કલરકામ જેવા નાના મોટા ઉદ્યોગોમાં આ પરપ્રાંતીય શ્રમિકોને માનભેર વેતન મળતું હતું અને આસાનીથી કમાઈ કરી રહ્યા હતા અને પોતાના વતન પણ ખાસ્સી રકમ પ્રતિમાસ તબદીલ કરી રહ્યા હતા.
ભાવનગર જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોનો વસવાટ જ્યાં જ્યાં છે ત્યાં આગળ કોરોનાનો એક પણ કેસ નોંધાયેલો નથી છતાં અફવાઓને કારણે શ્રમિકો વતન તરફ જવા માટે દોડા દોડી કરી રહ્યા છે તેના કારણે સ્થાનિક ઉદ્યોગોને પણ ભારે ફટકો પડી રહ્યો છે.શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ વિષ્ણુકુમાર ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, 20મી માર્ચથી શિપ બ્રેકિંગ શરૂ કરવાની સરકાર દ્વારા અનુમતિ મળી છે અને હાલ 60 પ્લોટોમાં નાનું મોટું કામ ચાલુ છે. પરંતુ પરપ્રાંતીય શ્રમિકોના માઇગ્રેશનનો પ્રવાહ આવી રીતે ચાલુ રહેશે તો ઈન્ડસ્ટ્રી બંધ કરવાનો વખત આવી જશે જેના કારણે ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો સમય આવશે. શ્રમિકો અહીં રોકાઇ જાય તો તેઓને તમામ પ્લોટમાં કામગીરી મળી શકે તેમ છે. હાલ જે 60 પ્લોટ ચાલુ છે તેમાં પણ શ્રમિકોની સતત આવશ્યકતા છે ઉપરાંત અલંગની આજુબાજુ વિકસેલા આનુસંગિક ઉદ્યોગોમાં પણ શ્રમિકોની ખૂબ જ જરૂરિયાત છે.
સિહોર રી રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ ધાનાણીના જણાવ્યા પ્રમાણે પરપ્રાંતિય શ્રમિકોમાં ડર પેસી ગયો છે, અમારા 110 રોલિંગ મિલોના જથ્થા પૈકી હાલ માંડ 14 કારખાનામાં કામગીરી શરૂ છે. એક રોલિંગ મીલમાં ઓછામાં ઓછા 80 શ્રમિકોની જરૂરિયાત રહે છે.પરપ્રાંતીય શ્રમિકો ભાવનગર જિલ્લામાં ઉદ્યોગકારો પર વિશ્વાસ રાખે તો શિપબ્રેકિંગ, રી રોલિંગ મિલ, કન્સ્ટ્રક્શન, સુથારી, લુહારી, કલરકામ સહિતના તમામ આનુસંગિક ઉદ્યોગોમાં પણ આશરે વીસ હજાર લોકોને સમાવેશ કરી શકાય એટલી રોજગારીની તકો છે.
હેલ્પ લાઇનમાં અનેકવાર કોલ કર્યો પણ અનાજ મળ્યુ નથી
હું ઉતર પ્રદેશથી ભાવનગર રોજગારી અર્થે આવેલ અને અમારા 4 લોકોનુ ગુજરાન ફર્નિચર કામ કરીને પુરો કરતો હતો પરંતુ લોકડાઉન થતા મારો રોજગાર બંધ થઇ ગયેલ અને ખાવાની મુશકેલી પડવા લાગી અને મે અનેક વખત હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા પરંતુ અનાજની કીટની કોઇ સેવા અપાઇ નથી. > સુશીલ કુમાર, પરપ્રાંતિય
ટ્રેનની વ્યવસ્થા નહી થાય તો પગપાળા વતન જઇશ
હું આજમગઢથી રોજગારી અર્થે ભાવનગર આવેલ અને મજુરી કામ કરતો પરંતુ લોકડાઉનના કારણે રોજગાર ન મળતા ખાવાના પણ ફાફા પડ્યા છે અને વતન જવા માટે પૈસા ભેગા કરી ટીકીટ કરાવી વતન પરત જવાની આશાએ નક્કી કરેલ સ્થળે પહોંચ્યા તો ટ્રેન કેન્સલ થઇ હતી અને હવે જો ટ્રેનની વ્યવસ્થા નહી થાય તો પગપાળા વતન ચાલ્યો જઇશ.> જલજીત પ્રજાપતિ, પરપ્રાંતિય
સુરત સહિતના સ્થળોએથી 20 હજાર લોકો ભાવનગર જિલ્લામાં પરત ફર્યા
સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના જુદા જુદા જિલ્લાઓના લોકોને તેમના વતન મોકલવાની કાર્યવાહી જોરશોરમાં ચાલી રહી છે. આજે એક જ દિવસમાં સાત હજારથી વધુ લોકો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તેમના વતનમાં અન્ય જીલ્લાઓ અને રાજ્ય માંથી પરત ફર્યા છે. આથી હોમ કોરોન્ટાઇનની સંખ્યામાં જબ્બર વધારો થઇ રહ્યો છે. બે જ દિવસમાં હોમ કોરન્ટાઇનની સંખ્યા 20, 000ને વટી ગઈ છે. આજે ભાવનગર જિલ્લામાં હોમ કોરોન્ટાઇન રખાયેલાની સંખ્યા 20,618ને આંબી ગઇ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.