ગોહિલવાડના ગૌરવરૂપ રાષ્ટ્રિય વિરાસત શાળા શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં શિક્ષણવિદ લેખક ભદ્રાયુ વછરાજાનીએ અહીંની કેળવણી સંદર્ભે વાત કરતા કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો.
સમજ અને જ્ઞાન અંગે વિગતે ચિંતન રજૂ કર્યું
શિક્ષણવિદ લેખક ભદ્રાયુભાઈ વછરાજાનીએ વાર્ષિકોત્સવ પ્રસંગે ઉદબોધનમાં શિવના દક્ષિણામૂર્તિ સ્વરૂપના તત્વ દર્શન સાથે લોકશિક્ષણ કેળવણી વિશે મનનીય વાતો કરી. તેમણે કહ્યું કે, નઈ તાલીમનો મૂળ વિચાર નાનાભાઈ ભટ્ટે આપ્યો હતો, જેને મહાત્મા ગાંધીએ વિસ્તાર્યો હતો અને રાષ્ટ્ર સમાજ સુધી વ્યાપ થયો હતો, શ્રી દક્ષિણામૂર્તિદેવના ત્રણ સ્વરૂપ વિષે જણાવતા સજગ, સમજ અને જ્ઞાન અંગે વિગતે ચિંતન રજૂ કર્યું હતું, જેની સાથે માહિતી તથા જ્ઞાન વચ્ચેનો ભેદ જણાવ્યો. તેઓએ વધુમાં ગાંધીજીની આત્મકથાના ઉલ્લેખ સાથે પ્રાસંગિક વાત કરી હતી.
85 વર્ષ પૂરા કરતી આ વિરાસત શાળાનું કામ થયું
શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણારના સંયુક્ત વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના દિવંગત નટવરલાલ બૂચ 'બૂચદાદા'ની આજે પૂણ્યતિથિ હોઈ તેના સ્મરણ શ્રદ્ધાંજલિ સાથે અહી મહાનુભાવોના હસ્તે પ્રારંભે દીપ પ્રાગટ્ય કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રશાંતભાઈ ભટ્ટે નવી શિક્ષણનીતિમાં આ સંસ્થાના મૂલ્યોનો સમાવેશ થયાનો હરખ વ્યક્ત કરી 85 વર્ષ પૂરા કરતી આ વિરાસત શાળાનું કામ થયું, ઊગ્યું અને સમાજમાં વિસ્તર્યું હોવાનું જણાવ્યું હતું.
સમાજ કલ્યાણ માટે કાર્યરત રહેવા ભાવ જણાવ્યો
અહી પ્રારંભે આવકાર ઉદબોધન સુરશંગભાઈ ચૌહાણે કરેલ અને અહી ઉપસ્થિત રહેનાર જામનગર આણદાબાવા સંસ્થાના દેવપ્રસાદજી મહારાજ નાદુરસ્ત તબિયતના કારણે આવી ન શક્યાનું જણાવી એ ધાર્મિક સંસ્થાના સામાજિક ચેતનાના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સંસ્થાના વડા અરુણભાઈ દવેએ આભાર દર્શન વેળાએ જણાવ્યું કે અહી આભારના બદલે આનંદ વ્યક્ત કરવો છે, બંને સંસ્થાના વિકાસ અંગે સંતોષ વ્યક્ત કરી હવે ઘણી ભૌતિક સુવિધા બાદ કૌશલ્ય અને સમાજ કલ્યાણ માટે કાર્યરત રહેવા ભાવ જણાવ્યો. તેઓના હસ્તે ભદ્રાયુભાઈ વછરાજાનીને ચાદર અર્પણ કરાયેલ.
વાર્ષિકોત્સવ પ્રસંગે મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા
બંને સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીતગાન રજૂ થયેલ. સંસ્થાના આ પ્રસંગે રવુબાપુ તથા સુખદેવાનંદબાપુની આશિષ ઉપસ્થિતિ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સંસ્થા પરિવારના લાલજીભાઈ નાકરાણી, રામચંદ્રભાઈ પંચોલી, રઘુભાઈ પટેલ તથા જશુભાઈ રાવલની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા, આંબલા ખાતેના આ પ્રસંગમાં મેહુરભાઈ લવતુકા, કિશોરસિંહ ગોહિલ, હસમુખભાઈ દેવમુરારિ, જીજીભાઈ ચૌહાણ, યોગેશભાઈ ભટ્ટ, ફાઝલભાઈ ચૌહાણ સાથે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ જોડાયા હતા.
લોકશૈલી સાથેની સુંદર સજાવટ કરી હતી
ગોહિલવાડના ગૌરવરૂપ રાષ્ટ્રીય વિરાસત શાળા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે આ ઉત્સવ પ્રસંગે કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લોકશૈલી સાથેની સુંદર સજાવટ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવ પ્રસંગે આ સંસ્થાઓ પૈકી આંબલાનો અહેવાલ વાઘજીભાઈ કરમટિયાએ તથા મણારનો અહેવાલ ડાયાભાઈ ડાંગર દ્વારા રજૂ થયેલ. સંદેશા વાચન રાજુભાઈ વાળાએ કરેલ. સંચાલનમાં નરેન્દ્ર મકવાણા રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.