નારી ચોકડીથી મસ્તરામ બાપા મંદિર વચ્ચેના આશરે દોઢ કિમી રોડ પર એક કાર ચાલકે ત્રણ અકસ્માત સર્જ્યા હતા. જેમાં 1નું મોત થયું છે જ્યારે એક રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. નારી ચોકડીથી મસ્તરામ બાપા મંદિર વચ્ચેના આશરે દોઢ કિમીના રસ્તામાં સડસડાટ આવી રહેલી જીજે-05-સીજી-6013 નંબરની કારે ત્રણ અકસ્માત સર્જ્યા છે.
સાંજે 6 વાગ્યાના અરસામાં નારી ચોકડી તરફથી આવી રહેલી આ કારે નારી ચોકડી પાસે એક પરપ્રાંતિય શખ્સને અડફેટે લીધો હતો જોકે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી. જે બાદ પુરપાટ ઝડપે આવી રહેલી આ કારે મસ્તરામ બાપા મંદિર આગળ જીજે-04-એજે-2252 નંબરના એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલક મુકેશભાઈ દિનેશભાઈ વંકાણી (ઉ.વ.45, રહે. તળાજા રોડ, કાચના મંદિર પાસે, શિવનગર)નું મોત થયું હતું.
આ સ્થળે જ કારે એક રિક્ષાને પાછળથી ટલ્લો મારત રિક્ષા ફંગોળાઈને રોડ પર ડિવાઈડરનું કામ કરી રહેલા જેસીબીમાં ઘુસી જતાં રિક્ષાચાલક વિજયભાઈ આણંદભાઈ રાઠોડ (રહે. સિદસર)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ઈમર્જન્સી 108 મારફત સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોત બનીને આવેલી આ કારનો નંબર જીજે-05-સીજી-6013 હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આ અકસ્માત સર્જીને કાર ચાલક ચિત્રા જીઆઈડીસીમાં કાર મુકીને ફરાર થયો હતો. જેને પોલીસે કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે પરંતુ સત્તાવાર હજુ કોઈ જાહેરાત થઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.