ભાવનગરમાં ભયંકર અકસ્માતમાં 6નાં મોત:વલભીપુરમાં અચાનક ટાયર ફાટતા ટ્રક પલટી જતાં અનેક દબાયા, પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા પલટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થતાં અનેક લોકો દબાયા હતા. આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

​​​​​​મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલી ટ્રક પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર, ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.

4 પુરુષ અને 2 મહિલાએ જીવ ગુમાવ્યાં
આ બનાવની અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઝીંઝાવદર ગામેથી આઇસર ટ્રક લીલુ ઘાસ ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો, ત્યારે વલભીપુર તાબા હેઠળ આવેલા રતનપર મેવાસા ગામ પાસેથી અચાનક ટાયર ફાટતા ટ્રક પલટી મારી ગયો હતો, જેમાં છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં 4 પુરુષ અને 2 મહિલાએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવ અંગે પાલીતાણાના DySp મિહિર બારીયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના ઝીંઝાવદર ગામથી 14 લોકોને બેસાડી ટ્રક ભાવનગર આવી રહ્યો હતો, ત્યારે વલ્લભીપુરના રતનપર મેવાસા ગામ નજીક ટાયર ફાટતા ટ્રક પલટી ખાઈ ગયો હતો, જેમાં 14 માંથી 6 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, ભાવનગર જિલ્લાના ભડભીડ ગામે આ ટ્રક જઈ રહ્યો હતો.

મરણ જનારના નામો

1. નવઘણભાઈ ગભરૂભાઈ રાઠોડ ઉં.21

2. કવાભાઈ ભીખાભાઈ મકવાણા ઉ.45

3. સિતુભાઈ દાનાભાઈ ચૌહાણ ઉ.51

4. અલ્પેશભાઈ સવશીભાઈ વેગડ ઉ.22

5. મનીબેન ગભરૂભાઈ રાઠોડ

6. કોમલબેન મનસુખભાઈ રાઠોડ