ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રોજ સોમવારના રોજ શહેરના નિલમબાગ એસબીઆઇ બેન્ક સામે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કૉંગ્રેસ દ્વારા અદાણીને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર ક્રોની કેપિટલિઝમની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કૉંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ઉમેર્યું હતું કે, હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી છે. આર્થિક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ - મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે, એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે.
શહેર કૉંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, અમે ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહી છે.
આ ધરણાં પ્રદર્શનમાં ભાવનગર શહેર કૉંગ્રેસ આગેવાન, કોર્પોરેટર, યુથ કોંગ્રેસ, એન.એસ. યુ.આઈ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન, કાર્યકરો હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.