ભરૂચ શહેરમાં આવેલ દાંડિયાબજાર વિસ્તાર સ્થિત કુમાર શાળા પાસે રહેતા 50 વર્ષીય દીપિકાબેન બાબુ બારિયા અને રામનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય પ્રશાંત હર્ષદ ચાવડા સાથે બાઈક નંબર-જી.જે.16.સી.એલ.9480 લઇ બારડોલીના ઓરગામ ખાતે મરણ પ્રસંગે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ભરૂચ આવી રહ્યા હતા તે દરમિયાન સુરતથી અંકલેશ્વરના ટ્રેક ઉપર આવેલ દર્શન હોટલ પાસે પુરપાટ ઝડપે પસાર થતા ભાઈ-બહેનની બાઈક રોડની સાઈડમાં આવેલ લોખંડની એન્ગલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાઈ પ્રશાંત ચાવડાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જયારે બહેનને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે વાગરા તાલુકાના અટાલી ગામની નવી નગરી ખાતે રહેતો 35 વર્ષીય સુરેશ રણજીત રાઠોડ તેના મિત્ર દશરથ પ્રવીણ રાઠોડ સહીત અન્ય મિત્રો સાથે બાઈક નંબર-જી.જે.16.ડી.બી.0632 પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ગયા હતા. જેઓ 11મી ડીસેમ્બરની રાતે પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પખાજણથી નાદરખા જવાના કેનાલ રોડ ઉપર બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સુરેશ રાઠોડને બેભાન હાલતમાં 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.