ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આજે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આ વચ્ચે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ ટ્રાફિક જામ થયો હતો. જેથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વૃક્ષને બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવાયો
અંકલેશ્વરમાં આજે સવારે ધીમી ધારે વરસાદ શરુ થતા જ અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર જલ દર્શન સોસાયટી નજીક વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી હતી. તેમજ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટના અંગે જી.આઈ.ડી.સી.પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને વૃક્ષની ડાળીઓને કાપી માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખની છે કે, આ માર્ગ ઉપર ચોમાસાની સીઝનમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.