જંબુસરની સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતાં 61 વર્ષીય કનુભાઇ દેસાઇભાઇ પટેલ શિક્ષક તરીકે નિવૃત્ત થયાં બાદ હાલમાં અવિધા ગામે આવેલી શ્રી વિજય વિદ્યામંદીર પ્રાથમિક શાળામાં સંચાલક તરીકે કામગીરી કરે છે. તેમની શાળા માટે શિક્ષકોના ઇન્ટર્વ્યુ લેવાના હોઇ તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ભરૂચ ખાતે રહેતાં તેમના પુત્રને ત્યાં ગયાં હતાં. જ્યાંથી તેઓ અવિધા ગામે ગયાં હતાં.
દરમિયાનમાં તેમના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરેલી હતી કે, તમારા ઘરનુ બારણું ખુલ્લુ છે અને તાળુ પણ તુટેલું છે. જેના પગલે તેઓ તુરંત જંબુસર આવવા માટે રવાના થયાં હતાં. તેમણે ઘરમાં તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો.
ઉપરાંત તસ્કરોએ તેમના ટીવીનું શોકેશ પણ તોડી તેમાં મુકેલો રૂપિયાનો ગલ્લો તેમજ તિજોરીમાંનો સામાન વેર વિખેર કરી ગલ્લામાંના 30 હજાર રોકડા, શિકોતેર માતાના મંદિરના વહિવટના દાન પેટેના 40 હજાર રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ 1.17 લાખના સામાનની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે જંબુસર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.