અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે હાઈવેને અડીને આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગઈકાલે શુક્રવારે રાતે એક સાથે સાત મકાનોનાં તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અંકલેશ્વર તાલુકાના અંદાળા ખાતે નેશનલ હાઇવે નંબર 48 અડીને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી આવેલી છે. ગઈકાલે શુક્રવારે રાતે આ સોસાયટીના સાત જેટલા મકાનોના માલિક ગરમીમાં રાહત મેળવવા માટે ઘરની છત ઉપર સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તેનો લાભ લઈને તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી તાળાં તોડ્યાં હતાં અને તમામ મકાનમાંથી ઓછા વધતા પ્રમાણમાં સરસામાન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.
સવારે જ્યારે મકાન માલિકોને ખબર પડી ત્યારે ઉહાપોહ મચી ગયો હતો. સાગમટે સાત મકાનોનાં તાળાં તૂટતાં સોસાયટીના રહીશોમાં ચિંતાની લહેર ફરી વળી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતાં શહેર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવેને અડીને આવેલી સોસાયટી અવારનવાર તસ્કરોના નિશાન ઉપર રહી ચૂકી છે. સોસાયટીમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ પાછળના ભાગે ખુલ્લી જગ્યા હોવાના કારણે તસ્કરોને ભાગવા માટે મોકળું મેદાન મળી જાય છે. હાલમાં આ ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.