ભરૂચના એક ગામમાં લગ્નના એક વર્ષમાં જ સંતાન પ્રાપ્તી માટે સાસુ દ્વારા પુત્રવધુ પણ દબાણ આપવાનું શરૂ કર્યું હતું. પુત્રવધુને ગર્ભ નહીં રહેતાં તેને બળજબરીપુર્વક અલગ અલગ આયુર્વેદિક દવાઓ પિવડાવી સાસુ દ્વારા શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના પગલે કંટાળ ગયેલી પુત્રવધુએ 181 મહિલા હેલ્પલાઇન પર અભયમની ટીમનો સંપર્ક કરી મદદની ગુહાર લગાવી હતી. ભરૂચના એક ગામમાં પરણાવેલી એક યુવતિને લગ્નનો માત્ર એક જ વર્ષનો સમયગાળો થયો છે. જોકે, તેમને હજી સંતાનસુખ મળ્યું નથી.
જેથી તેમના સાસુ દ્વારા વહેલાં સંતાનને જન્મ આપવા માટે ટોણાં મારવામાં આવી રહ્યાં હતાં. હજી નવું જ દાંપત્ય જીવન હોવા છતાં તેની સાસુ છેલ્લાં કેટલાંક સમયથી તેને સંતાન રહી જાય તે માટે વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉકાળા - દવાઓ પિવડાવતી હતી. સાસુની ઇચ્છાઓનું માન રાખી પહેલાં પરીણિતાએ તેમની તમામ વાતો માની હતી. જોકે, બાદમાં સાસુ દ્વારા તેને બળજબરીથી અલગ અલગ આયુર્વેદિક ઔષધીઓ લેવા માટે દબાણ કરતી હતી. ઉપરાંત જો તેને સંતાન પ્રાપ્તિ નહીં થાય તો તેને ઘરમાંથી કાઢી મુકવાની ધમકીઓ પણ આપતી હતી.
બીજી તરફ પુત્રને ઉશ્કેરણી કરી તેના થકી તેને મારઝૂડ પણ કરાવતી હતી. સાસુના ત્રાસથી તેણે કંટાળી જઇ આખરે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી પોતાની આપવિતી સંભળાવી તેમની પાસે મદદમાંગી હતી. જેના પગલે અભયમની ટીમે સ્થળ પર પહોંચી તેમની સાસુની સમજાવટ કરી હતી. ટીમે તેમને સામાજિક અને કાયદાકિય રીતે તેમનું કૃત્ય અપરાધિક હોવાની સમજણ આપી હતી. તેમજ સંતાન પ્રાપ્તિ માટે ઉતાવળ ન કરવા તેમજ પુત્રવધુને પોતાની દિકરીની જેમ રાખવા સમજણ આપી પુત્ર અને પુત્રવધુ બન્નેના મેડિકલ રિપોર્ટ કરાવી તેના આધારે અત્યંત જરૂરી હોય તો તેના આધારે દવા કરવા માટે સલાહ સુચન આપ્યાં હતાં.આખરે સાસુએ પરિણિતાની માફી માગી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.