નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા જવાહર બજારથી જલારામ મંદિર સુધી આર.સી.સી.માર્ગ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહી કરાવતા આજરોજ ગ્રામજનોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો, તેમજ હલ્લાબોલ કરી પ્રાથમિક સુવિધાઓની માગ કરી હતી.
અનેક વખત રજૂઆત કરી છે
નેત્રંગને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે પરંતુ નેત્રંગ ટાઉન વિકાસથી વંચિત હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે, સ્થાનિકોએ જવાહર બજારથી જલારામ મંદિર સુધી આર.સી.સી.માર્ગનું નિર્માણ અને સાફ-સફાઈ સહીત ગટર વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માંગ કરી છે જે માટે સમયાંતરે અનેક રજૂઆત કરવામાં આવી છે પણ તેની વહીવટી તંત્ર ઉપર કોઈપણ જાતની અસર થઈ ન હતી જેને કારણે છેલ્લા 15 વર્ષથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
બજારો બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી
અંતે ગ્રામજનોની ધીરજ ખુટી હતી, આજરોજ સ્થાનિકોએ ગ્રામ પંચાયત ખાતે ઘેરાવ્યો કરી હલ્લાબોલ કર્યો હતો અને સરપંચને રજૂઆત કરી હતી. જેમાં વહેલી તકે વિકાસના કામોની કામગીરી શરુ નહી કરવામાં આવે તો બજારો બંધ કરી રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આગેવાન શેરખાન પઠાણે ગ્રામજનો સાથે પંચાયત કચેરીએ પહોંચી જો ટૂંક સમયમાં કામગીરી નહી કરવામાં આવે તો ગ્રામ પંચાયતની કચેરીને તાળા બંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સરપંચે 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેની વહીવટી મળતા જ કામગીરી શરુ કરવાની ખાતરી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.