ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહી હોવા છતાં બેરોકટોક વાહનો પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા 26 મે થી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનું અમલીકરણ આવતીકાલે ગુરુવારથી શરુ થશે.
ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી.
નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા જેનું સુખદ નિવારણ આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી 26 મે થી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેનું અમલીકરણ ગુરુવારથી શરુ કરવામાં આવશે. ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવશે. જેમાં એસ.ટી બસનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.