ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે બુધવારના રોજ 5 ઉમેદવારી પત્રો પરત ખેંચાયાં છે. પહેલી તારીખે થનારી ચુંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઇ જશે. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા બેઠક માટે 5મી તારીખે જાહેરનામુ બહાર પડાયાં બાદ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
14મી તારીખ સુધી ઉમેદવારીપત્રો ભરાયા હતાં. સૌથી વધારે ઉમેદવારીપત્રો છેલ્લા બે દિવસમાં ભરવામાં આવ્યાં હતાં. મંગળવારના રોજથી ભરાયેલાં ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ભરૂચની પાંચ બેઠકો માટે 11 ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યાં હતાં. બીજી તરફ આજરોજ ઝઘડીયા બેઠક પરથી દિલિપ વસાવા સહિત 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી. જયારે ભરૂચ અને જંબુસરમાંથી એક- એક ફોર્મ પાછું ખેંચી લેવાયું છે.
વાગરા અને જંબુસર બેઠક પરથી એક પણ ફોર્મ પાછુ ખેંચાયું નથી. આજે ગુરૂવારના રોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો દિવસ હોવાથી બપોર બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડીયા અને જંબુસર વિધાનસભા બેઠક માટે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને કેટલા જંગમાંથી હટી ગયાં તે ગુરૂવારે બપોર સુધીમાં જાણી શકાશે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે તારીખ પહેલી ડીસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.