ભરૂચના લિંકરોડ વિસ્તારમાં આવેલી મનિષાનંદ સોસાયટી ખાતેની ઇલેક્ટ્રોનિક્સની એક દુકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ તુરંત દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.
ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી મનિષાનંદ સોસાયટીના પ્રવેશદ્વાર પાસે આવેલી મોઢેશ્વરી ઇલેક્ટ્રીક્સ સ્ટોર નામની દુકાનમાં આજે વહેલી સવારે આગ ભભુકી હતી.જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આગે આખી દુકાનને ચપેટમાં લઇ લીધી હતી. ઘટના અંગે ભરૂચ નગરપાલીકાના લાશ્કરોને જાણ કરવામાં આવતાં લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માલુમ પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.