ભરૂચ જિલ્લાની બહુઆયામી ભાડબૂત બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ યોજના પૂર્ણ થશે તો ભૂખી ખાડીમાં દરિયાના ખારા પાણી ભરાઈ જશે અને તેનાથી ખેતીને નુકસાન થઈ શકે છે તેવી ભીતી ખેડૂતોને સતાવી રહી છે. તેથી સંભવિત નુકસાનને અટકાવવા ભૂખી ખાડી પર ભેંસલી પાસે ચેકડેમ બનાવવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી. નર્મદા કેનાલમાં પડેલા ગાબડાથી ખેડૂતોને નુકસાન થતા તેમને યોગ્ય વળતર આપવા માટે પણ મુખ્યમંત્રીને અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અને મૌખિક રજૂઆત કરી
ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની બહુઆયામી અને આશાસ્પદ યોજના છે. પરંતુ આ યોજનાના પગલે ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતા 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઈ છે. દરિયાના ખારા પાણીને ભૂખી ખાડીમાં આવતા અટકાવવા માટે ભેંસલી પાસે ભૂખી ખાડી પર ચેક ડેમ બનાવવા માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.
ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરી
સાથે તાજેતરમાં જ નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ પાસે ગાબડું પડતા આસપાસના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતીના ઉભા પાકને નુકશાન થયું હતું. આ અંગે ધારાસભ્ય અરુણસિંહ રણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.