ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાનનું અકસ્માતમાં બ્રેઈન ડેડ થતા મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારે અંગદાન કરીને અન્ય ત્રણ લોકોની જિંદગી બચાવી હતા.
આમોદ તાલુકાના નવા કોબલા ગામનો કિરણ રાઠોડ 31મી મેના રોજ બાઇક લઈને દૂધ ભરાવવા માટે કોબલા ગામે જતો હતો. ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતાં તેને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.ખાતે રીફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તેની તબિયત વધુ બગડતાં તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અમદાવાદ સિવિલમાં તબીબોએ કિરણને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ તબીબે આમોદના નાહીયેર ગુરુકુળના સંત ડી.કે.સ્વામી તેમજ ભરૂચના મુક્તાનંદ સ્વામીનો સંપર્ક કરી યુવાનના અંગદાન કરવા અંગેનો પ્રસ્તાવ કર્યો હતો. જે બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મૃતક કિરણ રાઠોડના પરિવારજનોને તેના અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. જેથી પરિવાર જનોએ તેના અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના ત્રણ અંગો એક હૃદય અને બે કીડનીનું દાન કરવામાં આવ્યું હતું અને અંગદાનથી ત્રણ લોકોને નવી જીદંગી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.