ભરૂચના ભોલાવ ખાતે આવેલી હરીદર્શન સોસાયટી ખાતે રહેતો યુવાન તેની બાઇક લઇને કામ અર્થે ગોદીરોડ પરથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં અમીધરા સોસાયટી પાસેથી પસાર થતાં સમયે તેની બાઇક સ્લીપ થઇ જતાં તેના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી હરીદર્શન સોસાયટીમાં રહેતાં અને મુળ ગીર સોમનાથના વતની નરેન્દ્ર ખીમાભાઇ પરમારના મોટાભાઇ કૌશિક કામ અર્થે તેમની બાઇક લઇને ભરૂચ રેલવે સ્ટેશનથી ગોદીરોડ વાળા રસ્તેથી નંદેલાવ તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં અમીધરા સોસાયટી સામેથી પસાર થતી વેળાં તેની બાઇક સ્પિડમાં હોઇ સ્લીપ થઇ જતાં રોડની સાઇડમાં આવેલાં વૃક્ષમાં તે ભટકાયો હતો.
અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.