વાવ તાલુકાના તીર્થગામ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા પચાસ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઇ પાણીનો બીજા તળાવમાં નિકાલ કરવા માટે તળાવની પાળ તોડવામાં આવી હતી. તળાવની પાળ તોડતાં સામેની બાજુમાં ગૌશાળા આવેલી હોવાથી તેમજ પાણી ગામમાં ઘુસી જવાની સંભાવનાના પગલે ગામલોકો રોડ પર એકઠાં થયાં હતાં. વાવ તાલુકામાં રવિવારે સવારે ચાર ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ત્યારે તાલુકાના તીર્થગામ અને ડેડાવા ગામમાં વધુ વરસાદી પાણી ભરાયા હતા.
જેને લઇ તીર્થગામ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા 50 ઘરોમાં વરસાદી પાણી ભરાતા તળાવમાં નિકાલ કરવા માટે તળાવની પાળ તોડવામાં આવી હતી. જેને લઇ તળાવની પાળ તોડતાં સામેની બાજુમાં ગૌશાળા આવેલી હોવાથી તેમજ પાણી ગામમાં ઘુસી જવાની સંભાવનાના પગલે ગામલોકો રોડ પર એકઠાં થયાં હતાં તેમજ સરપંચ દ્વારા ખોટી રીતે પાળ તોડી હોવાના આક્ષેપો કર્યાં હતાં.
તો બીજી તરફ વાવ મામલતદારે ટેલિફોન ઉપર વાત કરતાં જણાવ્યું હતું કે પચાસ ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી તે પાણી તળાવ તરફ જઇ રહ્યાં છે. જેથી સરપંચ અને તંત્રએ સંકલનમાં રહી તે પાળ તોડવામાં આવેલ છે. જેથી પાણી બાજુમાં રહેલ ખાલી તળાવમાં જઇ શકે પાળ તોડવાથી પાણીના નિકાલથી ગામને કોઇ નુકશાન થાય તેમ નથી તેમ કહ્યું હતું.
ડેડાવા ગામે વરસાદી પાણીના નિકાલ માટે રોડ તોડયો
વાવમાં રવિવારે પડેલા ભારે વરસાદના પગલે ડેડાવા ગામમાં વધુ વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે ડેડાવા ગામે રસ્તામાં વરસાદી પાણીનો ભરાવો થઇ જતા ગામ લોકો દ્વારા પાણીનો નિકાલ કરવા માટે ડેડાવા-બેણપ રોડ તોડી પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.