થરાદ-સાંચોર હાઇવે પર નગરપાલિકા દ્વારા નગરજનોને આપવામાં આવતા પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હતું. સાંચોર હાઇવે પર એકબાજુ ફોરલેન રસ્તાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને રસ્તામાં ઉભેલા નડતરરૂપ વિજપોલ ખસેડી શિફ્ટ કરવાની કામગીરી વિજતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ત્યારે રવિવારે વિજપોલને જમીનમાં અર્થીગ કરવા જતાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતાં પાઇપ લાઇન લીકેજ થવાના કારણે પુષ્કળ પ્રમાણમાં પીવાનું પાણી રોડ ઉપર રેલાતાં શિયાળાની ઋતુમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. નગરપાલિકા અને વિજતંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થવા પામ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા ભવિષ્યના આયોજનને ધ્યાનમાં લીધા વગર નેશનલ હાઇવે રસ્તાની બંને બાજુ પાઇપ લાઈનો અન્ડર ગ્રાઉન્ડ કરી દેવામાં આવતાં હવે આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આથી પાલિકાને પહેલેથી આયોજન કરી પાઇપલાઇનો નાખવાની જરૂર હતી. તંત્રની બેદરકારીના કારણે નગરના રહીશોને હલાકીઓ ભોગવવી પડતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.