થરાદ-મીઠા હાઇવે પરથી નર્મદાની મુખ્ય નહેર પસાર થઇ રહી છે. જો કે બે મહિના પહેલાં તેમાં સમયાંતરે બે ટ્રકો ખાબકવા છતાં પણ તંત્ર દ્વારા તેની રેલિંગ રિપેર કરવાની ઉદાસિનતા સેવાઇ રહી છે. નાગલા ગામની સીમમાં નર્મદા કેનાલ ક્રોસ થાય છે. આથી તંત્ર દ્વારા કેનાલ પર પુલ બનાવવામાં આવેલો છે. જો કે તેના બંન્ને છેડાના ડીવાઇડરની સિમેન્ટની રેલિંગ જર્જરિત થવા પામી છે. ગત જાન્યુઆરીમાં મધરાતે એક ટ્રક જમણીબાજુ તોડીને કેનાલમાં ખાબકી હતી. જ્યારે તેના મહિના પછી પથ્થર ભરીને મીઠા બાજુ જઇ રહેલી બીજી પણ ટ્રક ડાબી બાજુની રેલિંગ તોડીને કેનાલમાં શિર્ષાસન કર્યું હતું.
જો કે તેમ છતાં પણ નર્મદા વિભાગ દ્વારા રિપેરીંગ કરવામાં આવ્યું નથી. આથી કોઇપણ અજાણ્યો વાહન ચાલક સાથે ફરી વખત આવી દુર્ઘટના સર્જાય તો વાહનચાલક સડસડાટ કેનાલમાં જવાની પુરી દહેશત ઉઠવા પામી છે. જો કે તે પુર્વે વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેનાલના બંન્ને બાજુની રેલિંગ તિરાડો પડવાના કારણે નમી જતાં માત્ર પડવાના વાંકે જ ઉભી છે. આથી રીપેરીંગ કરવા પ્રબળ માંગ વાહનચાલકો અને ખેડૂતોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.