થરાદ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ આજે થરાદની ગાયત્રી વિધાલય ખાતે જનસભાને સંબોધી હતી. જ્યાં સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શંકર ચૌધરીએ પોતાના સમર્થકો અને સાંસદ પરબત પટેલ સહિત ભાજપના નેતાઓ સાથે પ્રાંત કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
ફોર્મ ભરતા પહેલા જનસભાનું આયોજન કરાયું
બનાસકાંઠાની થરાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં આજે ગાયત્રી વિધાલય ખાતે એક મોટી જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયા સહિત ભાજપના નેતાઓ, વાવ અને ડીસાના ભાજપના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં શંકર ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતાઓ સભાને સંબોધી હતી.
જીતાડવા માટે લોકોને અપીલ કરી
ત્યારબાદ શંકર ચૌધરીએ વિશાળ જનમેદનીને સંબોધીને લોકોના આશીર્વાદ મેળવીને તેમને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. શંકર ચૌધરી બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને અન્ય ભાજપના આગેવાનો સાથે થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સાંસદ પરબત પટેલે પણ શંકરભાઈ મોટી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.