ડી.એફ.સી.સી.ટ્રેક બની જતાં પાલનપુરના લક્ષ્મીપુરા ગામમાં આવેલી અંબિકાનગરને જોડતી ફાટક બે દિવસમાં બંધ કરાશે. ફાટક બંધ થવાથી ગામમાં અવરજવર કરતા 9 હજારથી વધુ વાહનોને અસર થઈ છે જેની સીધી અસર રામલીલા મેદાનના રેલવે ઓવરબ્રિજ પર પડશે અને ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની જશે.
ડી.એફ.સી.સી.આઈ.એલ., અમદાવાદના સૂત્રોએ જણાવ્યું હતું કે રેલ્વે મંત્રાલયના ઉપક્રમ ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર દ્વારા ન્યૂ પાલનપુરથી ન્યૂ મહેસાણા રેલ્વેના ડબલ પાટાનું કામ પૂર્ણ થતાં ડબલ પાટા ઉપર કાયમી ધોરણે ટ્રેન ચાલુ થતાં લક્ષ્મીપુરા ફાટક બે દિવસમાં બંધ કરવામાં આવશે. આ રૂટના કાયમી ડાયવર્ઝન હવે નવા એસબીપુરા ગોબરી તળાવ નવા ઓવરબ્રિજ, માનસરોવર ઓવરબ્રિજ અને રામલીલા મેદાન ઓવરબ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે."
પાલનપુરના લક્ષ્મીપુરા ગામના રહીશોએ જણાવ્યું હતું કે પાછલા ત્રણ વર્ષથી અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાના ચક્કરમાં કંઈ પણ કામ થઈ શક્યું નથી. કેટલાક મકાનોને નુકસાન થાય છે જેને લઇ વાદ વિવાદ સર્જાતાં સમયસર બ્રિજનું કામ થયા નહીં. બે વર્ષ પહેલા ગોબરી તળાવ પર બ્રિજ બનીને પૂરો થઈ ગયો પરંતુ લક્ષ્મીપુરામાં હજુ કોઈપણ પ્રકારની મંજૂરી પણ આવી નથી."ફાટક બંધ થઈ જતાં ગામલોકોને હાલાકી ઊભી થશે.
ઓવરબ્રિજની દરખાસ્ત સરકારમાં છે, કેટલીક જગ્યા સંપાદિત કરવી પડશે
લક્ષ્મીપુરા ફાટક એકદમ વિચિત્ર સ્થિતિમાં છે. અહીં રહેણાક વિસ્તાર વધુ હોવાથી ઓવરબ્રિજ માટે જગ્યા સંપાદિત કરવી પડે તેવી સ્થિતિ છે. ફાટક બંધ થવાની છે. થોડીક મુશ્કેલીઓ પણ થશે." : મહેશ પટેલ ધારાસભ્ય પાલનપુર
બ્રિજ બને કે ના બને અંડરપાસ બનાવી આપો : ગ્રામજનોની માગણી
"હાલમાં અંબિકા નગરફાટકથી ગોબરી તળાવ સાઈડ 300 થી 400 મીટરના અંતરે અંડરપાસ બનશે તેવી જગ્યા છે આ જગ્યા ઉપર ઓવરબ્રિજ તૈયાર થાય તે પહેલા હંગામી અવરજવર માટે અંડરપાસ બનાવવો જોઈએ અહીં વરસાદી પાણીના નિકાલ માટેની પૂરતી જગ્યા પણ છે.": સરપંચ લક્ષ્મીપુરા
બે દિવસમાં ફાટક બંધ કરી દેવાશે
"અત્યારે 47 ટ્રેનો ફાટક પરથી પસાર થઇ રહી છે હવે ડીએફસી ટ્રેક પર પણ શરૂ થશે. મુસાફરો માટે જોખમ વધી જશે એટલે ફાટક બંધ કર્યા સિવાય છૂટકો નથી. અમે એક-બે દિવસમાં ફાટક બંધ કરી દઈશું. અમદાવાદથી જેમને સિટીમાં પ્રવેશવું છે તેમને ગોબરી રોડ પરના ઓવર બ્રિજનો ઉપયોગ કરવો જોઈએ. ડીએફસીસી
ગુરુનાનક ચોક પર ટ્રાફિક વધી જશે
લક્ષ્મીપુરા ફાટક બંધ થવાની સૌથી મોટી અસર ગુરુ નાનક ચોક પર આવેલા રામલીલા મેદાન પરના અંડર કન્સ્ટ્રક્શન રેલવે ઓવરબ્રિજને થશે. લક્ષ્મીપુરા ગામે બે ફાટક જોડતી હોવાથી અંબિકા નગરની ફાટક બંધ થયા બાદ બેચરપુરા ની ફાટક થી વાહન વ્યવહાર વધશે અને તે કોઝી થઈ સીટીમાં પ્રવેશશે.અત્યંત સાંકડા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.