બનાસકાંઠા જિલ્લામાં આગામી 14 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાંથી ધોરણ-10 અને 12 ના કુલ- 90 હજાર 786 વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં 100 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેના સુદ્રઢ આયોજન માટે પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યાના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
અધિક નિવાસી કલેકટર આર.એન.પંડ્યાએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ સહજ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તેવો માહોલ ઉભો કરીએ જેનાથી વિદ્યાર્થીઓ શાંત ચિત્તે સારી રીતે પરીક્ષા આપી શકે. તેમણે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સુચારૂ રીતે થાય તેની કાળજી રાખીએ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ર્ડા.નરેન્દ્રસિંહ ચાવડાએ પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે બનાસકાંઠા જિલ્લામાં ધો.10ના 50,930 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 34,430 અને વિજ્ઞાન પ્રવાહના 5426 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા કેન્દ્રોમાં સી.સી.ટી.વી કેમેરા તથા ટેબ્લેટ ગોઠવવામાં આવ્યા છે. પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની ખાસ કાળજી લેવાશે બેઠકમાં વિવિધ મંડળના પ્રમુખ ઓ સહિત અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.