Dfcc ટ્રેક નીકળતા ગુરુવાર રાતથી કાયમ માટે લક્ષ્મીપુરા ફાટક બંધ કરી દેવામાં આવી છે. અગાઉ ભાસ્કરે 2 દિવસમાં ફાટક બંધ થશે એવો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે બાદ લોકોમાં સ્થાનિક તંત્ર સામે નારાજગી વ્યાપી હતી. શુક્રવાર સવારે ગામમાંથી પાલનપુર શહેરમાં આવવા માટેની સંસ્કાર ફાટક પર રોજ કરતા વધુ ભીડ જોવા મળી હતી.
સંસ્કાર ફાટક પર સૌથી મોટી મુશ્કેલી એ છે કે ટ્રેન પસાર થવાના 10 મિનિટ વહેલી ફાટક બંધ થાય છે અને ટ્રેન નીકળી ગયાના 10 મિનિટ પછી ફાટક ખુલે છે જેના લીધે ફાટક પર લોકો ગરમીમાં શેકાય છે..! લક્ષ્મીપુરા ગામના સરપંચ એ અગાઉ રેલવેના અધિકારીઓને આ બાબતે લેખિત ફરિયાદ કરી રેલવે ફાટક પર સમયનો વેડફાટ થતો હોવાથી ફાટક સમયસર બંધ ચાલુ લેખિતમાં રજૂઆત કરી હતી. આ દિવસે લક્ષ્મીપુરા ગામના લોકોમાં ભારે આક્રોશ મળી રહ્યો હતો.
કેટલાક વાહનચાલકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે "5 વર્ષથી આવી પરિસ્થિતિની ખબર હોવા છતાં 200 મીટર દૂર રહેતા પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલ કોઈ પરિણામ ન લાવી શક્યા. જે કામ ત્રણ વર્ષ પહેલાં કરવું જોઈતું હતું કામની હજુ શરૂઆત સુધ્ધા કરવામાં આવી નથી. લક્ષ્મીપૂરા ફાટક બન્ને સાઈડ થી ખોદી બન્ને છેડે ગ્રામ રક્ષક દળના જવાનને બેસાડી વાહનોને સૂચનાઓ આપવામાં આવી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.