પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં 1986 થી સર્વે નંબર 45 પર ત્રણ એકરમાં ઘન કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અંદાજિત અઢી લાખ મેટ્રિક ટન ઘન કચરો ઠલવાયેલો છે 50 થી 60 ફૂટ ઊંચા થર જામી ગયા છે અને હવે ટ્રેક્ટર ઉપર ચડતા અકસ્માત સર્જાય છે અને વારંવાર આગ લાગી જતા ટ્રેક્ટર ચડતા નથી. જેના લીધે વારંવાર રોડ ઉપર કચરો ઠલવાતા લાખો રૂપિયાના ખર્ચે પાલિકા દ્વારા રોડ પરનો કચરો ઉપાડીને અન્યત્ર નિકાલ કરવામાં આવે છે.
સેનિટેશન શ્રમિકોએ જણાવ્યું કે " દરરોજ 100 ટન કચરો અહી ડમ્પીંગ સાઈડ પર ઠલવાય છે. જેમાં કેટલોક કચરો ડોર ટુ ડોરની એજન્સીના વાહન દ્વારા જ્યારે કેટલોક કચરો પાલિકાના વાહન દ્વારા નિકાલ કરવામાં આવે છે. કચરા ભરીને આવતી ગાડી ઉપર જતી નથી રોડ સાઈડમાં નાખવી પડે છે. પરંતુ આજુબાજુના સ્થાનિક રહેશો રોડ ઉપર કચરો નીકાળવા દેતા નથી અને વાહનોની હવા કાઢી નાખે છે. અધૂરામાં પૂરું પાલિકામાં કહેવા જઈએ તો કોઈ સાંભળતું નથી.અમારે કચરો ક્યાં નાખવો એ મોટો સવાલ છે?"
પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે " અગાઉ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં લેગેસી વેસ્ટના નિકાલ માટેની મંજૂરી માંગવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી રહીશો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોની નકલ, ડમ્પીંગ સાઈડ હટાવવા માટેની મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમો ટાંકીને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને લઈ ફેબ્રુઆરીમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી જે બાદ જુલાઈમાં તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવી છે પરંતુ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.