બનાસકાંઠામાં ધાનેરા પાસે આજે રખડતા આખલાઓએ ધમાલ મચાવ્યો હતો. જાહેર રોડ પર બે આખલાઓ બાખડ્યા હતા. જેને પગલે નાશભાગ મચી હતી. આ દરમિયાન આખલાઓએ બાજુમાં રહેલી એક પાણીપુરીની લારીને અડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી હતી. જેથી લારી ધારકને મોટુ નુકસાન થયું હતું.
આજુબાજુના લોકોમાં નાશભાગ મચી
ધાનેરા-થરાદ રોડ પર આજે બે આખલાઓએ આતંક મચાવ્યો હતો. બે રખડતા આખલાઓ અચાનક યુદ્ધે ચડ્યા હતા. સામ સામે શિંગડા ભરાવી યુદ્ધ શરૂ કરતાં આજુબાજુના લોકોમાં નાશ ભાગ મચી ગઈ હતી. લોકોએ આખલાઓને શાંત પાડવા પાણીનો પણ છંટકાવ કર્યો હતો. જોકે, બન્ને આખલાઓએ યુદ્ધ ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન રોડની સાઈડમાં પાણીપુરીની લારીને પણ અડફેટે લઈ ફૂટબોલની જેમ ઉછાળી હતી. જે બાદ આખલો ભાગતો ભાગતો રોડની પેલી સાઈટ જતો રહ્યો હતો. જોકે. સદનસબી આ દરમિયાન કોઈ વાહન ચાલક પસાર થયો ન હતો. જેથી અકસ્માત ટળ્યો હતો. જોકે, આખલા યુદ્ધના પગલે આજુબાજુના લોકોમાં નાશભાગ મચી હતી. પાણીપુરીની લારી ઊંઘી વાળી દેતા લારી માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર રખડતા પશુઓના આતંકની ઘટનાઓ સામે આવે છે અને રખડતા પશુઓના અડફેટે અનેક લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે જેને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.