દાંતાના નવાવાસ કાંટ અને માંકડીમાં શૌચાલય મુદ્દે કૌભાંડ સામે આવ્યા બાદ શૌચાલય બનાવનાર સખી મંડળના બંને મહિલા પ્રમુખોએ ડીડીઓ સમક્ષ લેખિત ખુલાસો પાઠવી ગેરરીતિમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે.
શૌચાલય નિર્માણ માટે સખીમંડળના એમઓયુ સરકાર સાથે થયા હતા એવામાં સખીમંડળોએ કોન્ટ્રાક્ટરોને શૌચાલય નિર્માણની જવાબદારી આપી જે તે કોન્ટ્રાક્ટરને ચેકથી પેમેન્ટ કર્યા હતા. બાદમાં મોટાભાગના શૌચાલયમાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી.સખીમંડળની મહિલાઓએ આ કૌભાંડમાં વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો પણ સામેલ હોવાનું જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી લેખિત ખુલાસો પાઠવ્યો છે.
આદર્શ મહિલા ગ્રામ સંગઠનના પ્રમુખ હિરાબેન સી. પટેલ અને સહયોગ મહિલા ગ્રામ સંગઠનના પ્રમુખ લક્ષ્મીબેન એસ. તરાલના લેખિત પત્રમાં જણાવ્યું તું કે "અમે એક પણ શૌચાલય બનાવ્યું નથી છતાં અમને ગુનેગાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. તાલુકા વિકાસ અધિકારીની સહી વગર સરકારના પૈસાનું ચુકવણું ન થઈ શકે. અત્યાર સુધી એક પણ સુનાવણીમાં નિયામક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને નોટિસ આપીને બોલાવવામાં આવ્યા નથી.
સમગ્ર વહીવટીતંત્ર, તલાટી, સરપંચ, બ્લોક કોર્ડીનેટર, ઇજનેર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, આયોજન અધિકારી સહ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાનો એસબીએમ સ્ટાફ સહિતના લોકો જ્યારે શૌચાલય બનતા ત્યારે જોવા જતા હતા.અમોને માત્ર ચુકવણું કોન્ટ્રાક્ટરને કરી દેવાની સૂચના આપવામાં આવતી હતી. અમારા દ્વારા કોઈ વાઉચર કે યાદીમાં સહી કરવામાં આવી નથી બધું કોન્ટ્રાક્ટર અને એસડીએમ સ્ટાફ દ્વારા કરવામાં આવતું હતું અમારી પાસે ભરાવેલી રકમને પરત કરો અને ભ્રષ્ટાચારીઓને છુટા કરો.
18 કોન્ટ્રાકટરને 37 ચેક અપાયાં
સખી મંડળની બહેનોએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી લેખિત રજૂઆતમાં દાંતા તાલુકાના રતનપુર, પુંજપુર, નારગઢ, ગંગવા, થાણા, કુંડેલ, મલેકપુર ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠાના કોન્ટ્રાક્ટરને કયા ચેક નંબરથી કઈ તારીખે કેટલી રકમ ચૂકવવામાં આવી તેની વિગતો આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.