વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવતા માઇભક્તોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા બાબતે “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલને અંબાજીના વિકાસ માટે શ્રેષ્ઠ યાત્રાધામ પ્રવાસન વિકાસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જેનાથી યાત્રધામ અંબાજીની યશકલગીમાં ઉમેરો થયો છે. માતાજીના દર્શનાર્થે આવતા માઇભક્તોને સારી ગુણવત્તાવાળો પ્રસાદ આપવા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટીબદ્ધ છે.
તાજેતરમાં ગુજરાત સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અંબાજી મંદિર ખાતે બનાવવામાં આવતા પ્રસાદ અંગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા તપાસણી કરી અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા “BHOG’’ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.