ધાનેરા તાલુકામાં બાજરીનું બિયારણ ન ઉગતાં હાલત કફોડી બની હતી અને આ બાબતે ખેતીવાડી અધિકારીને જાણ કરતાં શનિવારે ટીમે તપાસ કરી હતી. જોરાપુરા ગામના પ્રભુભાઇ અદાભાઇ ચૌધરીએ પોતાના ખેતરમાં બાજરી વાવવા માટે ધાનેરાની એક દુકાનેથી બાજરીનું ક્રિસ્ટલ પ્રોએગ્રો કંપનીની 9444 જાતની બાજરીની સાત થેલી ખરીદી વાવી હતી.
પરંતુ બિયારણ ન ઉગતાં તેઓએ દુકાનદારનો સંપર્ક કર્યો હતો અને દુકાનદારે આ બાબતે ક્રિસ્ટલ પ્રોએગ્રો કંપનીના મેનેજરને જાણ કરતાં તેઓએ ફરીથી ભેજવાળી જગ્યાએ વાવવાનું કહેતા ફરી વાવી હતી પરંતુ તે પણ ન ઉગતાં મેનેજર સાથે વાત કરતાં તેણે ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપતાં ખેડૂતે ધાનેરા મામલતદાર અને જીલ્લા ખેતીવાડી અધિકારીને લેખીત જાણ કરતાં શનિવારે ખેતીવાડીની ટીમે વેપારીને ત્યાંથી બાજરીના સેમ્પલ લીધા હતા. બીજી બાજુ અધિકારીએ ખેડૂતને ધમકાવતા હોવાથી ખેડૂતે મુખ્યમંત્રી ફરિયાદ કરી હતી.
નિતી નિયમ પ્રમાણે જ સેમ્પલ લીધા છે
ખેડૂતની અરજી મળતા અમોએ આ બાબતે તપાસ હાથ ધરી છે અને ખેડૂતના ખેતરે રોજકામ કરી જે દુકાનદારે માલ આપ્યો હતો ત્યાંથી સેમ્પલ લેવાયા છે. અને ખેડૂતને બોલાવીને સેમ્પલ લેવા એવો કાયદો નથી માટે અમે અમારા કાયદા મુજબ જ કામગીરી કરી છે અને ખેડૂતને સંતોષ ના હોય તો તે ઉપરી કચેરીએ રજૂઆત કરી શકે છે.’ : મહેશ પ્રજાપતિ (ખેતીવાડી અધિકારી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.