ધાનેરાના વર્ષો જૂના શીતલ શોપિંગ સેન્ટરની દુકાનો જર્જરિત બનતા નગરપાલિકા દ્વારા દુકાનો ખાલી કરીને શોપિંગ ઉતારવા માટે કેટલીયે નોટીસો આપવા છતાં ખાલી કરતા નથી. ત્યારે રવિવારે વહેલી સવારે એક ભાગની ગેલેરી તુટતા કાટમાળ નીચે પડતાં મોટી જાનહાની ટળી હતી.
ધાનેરા શહેરમાં 300 જેટલી દુકાનવાળું ત્રણ માળનું શીતલ શોપિંગ આવેલું છે અને તે હાલ એકદમ જર્જરીત હાલતમાં છે. ત્યારે નગરપાલિકા દ્વારા અગાઉ અનેક નોટીસો પણ પાઠવી છે તેમ છતાં આ શોપિંગના દુકાનદારો શોપિંગ ખાલી કરીને મલબો ઉતારતા ના હોવાથી ઉપરથી રોજેરોજ ક્યાંકને ક્યાંક મલબો નીચે પડી રહ્યો છે.
પાંચેક દિવસ અગાઉ પણ મુખ્ય રસ્તા ઉપર રાત્રે કાટમાળ પડ્યો હતો અને રવિવારે વહેલી સવારે શોપિંગની એક ભાગની ગેલેરી તુટતા આ રસ્તા ઉપર કાટમાળ પડયો હતો પરંતુ વહેલી સવારનો સમય હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી. આ કાટમાળ પડતા દુકાનોની લાઈટો ના વાયરો પણ પડતા તડાકા ભડાકા થવા પામ્યા હતા અને લોકોએ વીજ કંપનીને જાણ કરતા વીજ કંપનીના લોકો આવીને વાયરો કાપ્યા હતા.
આ અંગે કાંતિભાઈ પટેલે જણાવ્યું કે શીતલ શોપિંગ સેન્ટર હવે ભંગાર હાલતમાં બની ગયું છે અને અનેકવાર ઉપરથી પોપડાઓ પડતા હતા પરંતુ હવે તો આખીને આખી છત પડી રહી છે. જો પાલિકા દ્વારા આ શોપિંગ તાત્કાલિક ઉતરાવવામાં નહિ આવે તો અમારે નગર પાલિકા સામે કોર્ટમાં જવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.