ગુજરાત સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના અબોલ પશુઓ માટે જાહેર કરવામાં આવેલી 500 કરોડની સહાય માટે આજીજી કરવામાં આવી રહી છે. ત્યારે બે દિવસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના ગૌશાળા - પાંજરાપોળ સંચાલકો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવા જતાં 15 દિવસ બાદ ફાઈલ જોવાનું કહેતાં ગૌભકતોમાં નારાજગી જોવા મળી હતી. પાંચ મહિના અગાઉ રાજય સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા - પાંજરાપોળના પશુઓ માટે 500 કરોડની સહાય જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ન મળતાં બનાસકાંઠાના સંચાલકો કલેકટર કચેરી બહાર ધરણાં કરી સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ ન મળતાં બે દિવસ અગાઉ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા સાથે બનાસકાંઠા ગૌશાળા - પાંજરાપોળ ફેડરેશનના પ્રમુખ ચીનુભાઈ શાહ, જયંતિભાઈ દોશી, સુંદરનાથ મહારાજ, બાલુભાઇ શાસ્ત્રી, હસમુખભાઈ વેદલીયા, તરૂણભાઈ, ભરતભાઈ, પ્રકાશભાઈ, પ્રફુલભાઈ સહિતના સંચાલકો અને ગૌભકતો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી
પરંતુ મુખ્યમંત્રી દ્વારા 15 દિવસ બાદ ફાઈલ જોવાનું કહેતાં નારાજગી જોવા મળી હતી. ગૌભકત ગોવિંદભાઇ (ગેળા)એ કહ્યું, ‘ભાજપ સરકાર ગાયોના નામે વોટ માંગી સત્તા પર બેઠી છે અને હવે સહાય જાહેર કરી અને હાથ અધ્ધર કર્યા છે. સહાય ના અભાવે પશુઓનો નિભાવ કઠીન છે. આગળ ચૂંટણી આવી રહી છે.
જો સરકાર સહાય નહીં આપે તો વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ માટે સરકાર પણ તૈયાર રહે તેમ જણાવ્યું હતું.’સુંદરનાથ મહારાજ (સેકરા)એ કહ્યું ‘લમ્પી વાયરસના કારણે અનેક પશુઓના મોત થઇ રહ્યા છે. બીજી તરફ સરકાર સહાયની જાહેરાત કરી ફરી ગઇ છે. અમે એ ગાયો માટે આંદોલન કર્યા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી પણ સરકારનું પાપ છાપરે ચડીને પોકારે તેમ ચૂંટણીના પરિણામમાં ભોગવવું પડશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.