ડીસા ના ભીલડી ગામે સોલંકી દરબાર સમાજના વધુ આઠ ગામોએ સામૂહિક વ્યસનમુક્તિનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આવનારી પેઢીને વ્યસન નામના દૈત્યથી બચાવવા માટે ગામના આગેવાનોએ વ્યસનને તિલાંજલિ આપી છે.
ડીસા તાલુકાના લુણપુર ગામમાં શ્રી નકળંગ ભગવાનના મંદિરે આગમવિશારદ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોલંકી દરબાર ક્ષત્રિય સમાજના આઠ ગામમાં આગેવાનોએ એક સાથે મળીને સામૂહિક રીતે સંપૂર્ણ વ્યસનમુક્તિ માટેની પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે. દારૂ, ગુટખા સહિતના વ્યસનોને તિલાંજલિની પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી હતી. પૂજ્ય ગુરુ મહારાજે આઠેય ગામના આગેવાનો સહિતના ગ્રામજનોને પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, હું બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવવા આવ્યો છું. એમાં આપ સૌનો સાથ સહકાર માંગું છું. આપ બધા આપના વ્યસનો આપી દો, હું આપને સૌને અપાર સમૃદ્ધિના આશિર્વાદ આપું છું. હું જૈન સાધુ છું એ વાત સાચી છે, પરંતુ હું ખાલી જૈનોનો સાધુ નથી સમગ્ર આર્યપ્રજાનો સાધુ છું. ગામમાં દારૂ બંધ કરવાનો તમે નિર્ણય કરો, પછી તંત્ર પણ તમને પૂરો સહયોગ આપશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દારૂ બંધ કરાવવો એકલાનું કામ નથી. સમાજ, પોલીસ અને રાજકીય આગેવાનો આ દરેકનું યોગ્ય કોમ્બિનેશન થાય તો ચોક્કસ પણે દારૂબંધ થઈ શકે અને આપના સમાજના એક સાચા હિતેચ્છુ તરીકે આ મેળ હું આપને કરાવી આપવા આવ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.