અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો છે. ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજી મંદિરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના 7 નંબર ગેટ આગળ વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રવક્તા દક્ષેશ મહેતા સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે જય શ્રી રામ અને મોહનથાળ ચાલુ કરોના સૂત્રોચાર સાથે અંબાજી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને અંબાજી મંદિરમાં આવેદનપત્ર આપ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાત પ્રવક્તા દક્ષેશ મહેતા મહેતાએ નિવેદન આપ્યું હતું કે, અંબાજી મંદિરની ઓળખ ધરાવતો મોહનથાળ પ્રસાદ વર્ષોથી ધરાવામાં આવે છે. તે નિર્ણયને વહીવટી તંત્ર અને કલેક્ટર દ્વારા રદ કરવામાં આવતા સમગ્ર ગુજરાત અને દેશભરના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો સાથે સાથે હિન્દુ ધર્મના લોકો સાથે પ્રતિઘાત કરવાનો આ નિર્ણયને લઈ ખોટું કર્યું છે. આ તંત્રની મોહનથાળને લઈને આટલો વિવાદ થયા પછી પણ આંખ ખુલતી નથી અને આ નિર્ણયને બદલવાનું આજ સુધી કોઈ નિર્ણય લીધો નથી. તો આ તંત્ર શું કરવા માગે છે તેની કોઈ ખબર પડતી નથી. આ તંત્ર કોના ઈશારાથી કામ કરવા માગે છે તે ખબર પડતી નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો નિર્ણય લેવાનો અધિકાર પૂજ્ય સંતો અને હિન્દુ સમાજનો છે. અંબાજી ગામના ગ્રામજનો અને માઈ ભક્તોની લાગણીને જોઈ આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી રહ્યું છે કે, આ મોહનથાળનો પ્રસાદ કાલ સાંજ સુધી ચાલુ નહીં કરાય તો વહીવટી તંત્ર અને કલેક્ટરને અહીંયા બેસવું પણ ભારી પડી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને કલેક્ટરની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.