માલપુર બસ સ્ટેશનમાંથી ખેરાલુથી ગોધરા તરફ જતી એસટી બસ બસ સ્ટેશનમાંથી બહાર મુખ્ય માર્ગ પર નીકળતી હતી. તે વખતે એક બાઇક ચાલકને અડફેટે લીધો અને બાઇક સવાર બાઇક સાથે એસટી નીચે આવી ગયો. જો કે સદનસીબે બાઇક ચાલક બચી જવા પામ્યો હતો અને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
એસટી બસ બસ સ્ટેશનમાંથી બહાર આવતી હોય છે. ત્યારે બિલકુલ ઓવર સ્પીડમાં આવતી હોય છે. જેના કારણે નિર્દોષ વાહનચાલકો અકસ્માતના ભોગ બનતા હોય છે. ત્રણ માસ આગાઉ જ બસ સ્ટેશનમાંથી તેજ રફતારથી બહાર નીકળતી એસટી બસની અડફેટે એક રાહદારી નિવૃત્ત એસટીનો કર્મચારી મોતને ભેટ્યો હતો. છતાં આજે વધુ એક વખત એસટી ડ્રાયવર દ્વારા ઓવરસ્પીડના લીધે એક બાઇક સવારને અકસ્માત નડ્યો છે. ત્યારે તમામ એસટી ડ્રાયવર આ બાબતની તકેદારી રાખી ધીમી સ્પીડમાં બસ સ્ટેશનમાંથી બહાર લાવે એ જરૂરી છે.
માલપુર બસ સ્ટેશનમાંથી બસ ડ્રાયવરની ઓવર સ્પીડના કારણે થતા અકસ્માતોમાં નિર્દોષનો ભોગ લેવાતો હોય છે. ત્યારે આસપાસના લોકો અને અન્ય મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને એસટી બસ અને અન્ય વાહનો રોકીને ટ્રાફિકજામ કર્યો હતો. માલપુર બસ સ્ટેશનમાંથી નીકળતી તમામ બસના ડ્રાયવરને સ્પીડ કન્ટ્રોલમાં રાખી અકસ્માતો નિવારવાની માગ લોકો દ્વારા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.