આણંદના સાંગોડપુરામાં રહેતા ત્રણ યુવકોએ બાઇક ચાલકને રોકી તેની પાસે ધૂળેટીના નામે રૂ.200 માંગ્યા હતાં. આ નાણા ન આપતા તેને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો. આણંદના સાંગોડપુરાની આકૃતિનગરની પાછળ રહેતા ઉમેશકુમાર જશભાઈ ગોહેલ માર્કેટીંગનો વ્યવસાય કરે છે. તેઓ 8મી માર્ચના રોજ સાંજના છ વાગ્યાના સુમારે પરિવાર સાથે બાઇક લઇ જીટોડીયા ગામે વૈદ્યનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયાં હતાં અને દર્શન કરી પરત ઘરે જઇ રહ્યા હતા તે સમયે સાંગોડપુરા - તાડપુરા પાસે આવતા અલ્પેશ ગોરધન ગોહેલ તથા નરેશ કાભઇ ગોહેલ, કમલેશ કાભઇ ગોહેલ (રહે.સાંગોડપુરા, આણંદ)એ બાઇક ઉભુ રખાવ્યું હતું. આ શખસોએ ધુળેટીનો તહેવાર હોવાથી તુ અમને રૂ.200 આપ તેમ કહી ઉશ્કેરાઇ ગયાં હતાં.
આ શખસોએ ઝઘડો કરી ઉમેશકુમાર પર હુમલો કર્યો હતો. જોકે, તેમના પત્નીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. આ સમયે ત્રણેય શખસોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈ બન્ને પક્ષે ઉગ્રતા વ્યાપી હતી. જેથી આ મામલે સમાધાનની વાત ચાલી રહી હતી પરંતુ તે નિષ્ફળ જતાં ઉમેશ ગોહેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.