ધાર્મિક કાર્યક્રમોમાં જઈને ભીડનો લાભ લઈ તેમાંથી દર્શનાર્થીઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી લેતાં પેટલાદના બે શખસોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં વલાસણ ખાતે થયેલા લોકડાયરામાંથી તેમણે 22 મોબાઈલ ચોર્યા બાદ રીક્ષામાં સંતાડ્યા હતા.
વલાસણ સ્થિત મેલડી માતાજીના મંદિરે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા આવતા કેટલાંય લોકો દ્વારા મોબાઈલ ચોરીની બૂમો ઉઠી હતી. જેને પગલે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પેટલાદના બે શખસ દ્વારા ભીડનો લાભ લઈ ચોરી કરાતી હોવાની બાતમી મળી હતી. બંને શખસ વલાસણ ગામ સ્થિત મોટી નહેર તરફ આવતી રીક્ષામાં પસાર થવાના હોવાની માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી તેમને પકડી પાડ્યા હતા.
પૂછપરછમાં કમલેશ ઉર્ફે ભોલો અશોક તળપદા, પેટલાદના ધોબીકૂઈ ખાતે રહેતો હોવાનું અને બીજો રમેશ ઉર્ફે ભંભુ દિનેશ પરમાર પાળજ માલાના કૂવે રહેતો હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં શખસોએ રીક્ષામાં મોબાઈલ સંતાડી રાખ્યા હતા. જેની ગણતરી કરતાં કુલ 22 મોબાઈલ નીકળ્યા હતા. તેઓ સામાન્ય રીતે અંબાજી, પાવાગઢ, બગદાણા કે જ્યાં ધાર્મિક મહોત્સવ, મેળા થતાં હોય ત્યાં જઈને ભીડનો લાભ લઈ મોબાઈલ સેરવી લેતા હોવાની કબુલાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.