સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલા ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.1.92 લાખના ચાંદીના વાસણો - આભુષણો ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મલાતજ ગામે આવેલા રણછોડરાયજી ભગવાનના મંદિરમાં 6ઠ્ઠીની વ્હેલી સવારે પૂનમ નિમિત્તે શણગાર કરવા પુજારી આવ્યાં હતાં. આ સમયે મંદિરનું દ્રશ્ય જોઇ ચોંકી ગયાં હતાં. મંદિરના દરવાજાના તાળા તુટેલા હતાં. આથી, અંદર જઇ જોતા ભગવાનના શણગારના આભુષણો, વાસણો, માતાજીના છત્તર સહિત ચાંદીની તમામ ચીજ વસ્તુઓ કિંમત રૂ.1.92 લાખની મત્તા ચોરી થઇ હતી.
આ અંગે તાત્કાલિક ટ્રસ્ટના આગેવાનોને જાણ કરતાં પ્રમુખ સુનીલભાઈ પટેલ સહિત સૌ મંદિર પર પહોંચ્યાં હતાં. તપાસ કરતાં તસ્કરો 5મી જાન્યુઆરીની રાત્રે મંદિરના દરવાજાના તાળા તેમજ નકુચા તોડી અંદર પ્રવેશ કરી છ કિલો 490 ગ્રામ ચાંદીના વાસણો, શણગારના આભુષણો ચોરી ગયાં હતાં.આ અંગે સુનિલભાઈ પટેલની ફરિયાદ આધારે સોજિત્રા પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. ભરવાડે સંભાળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.